Readers

Tuesday, March 17, 2026

ટાલ એટલે માલામાલ

                                             

                              ટાલ એટલે માલામાલ                દિનેશ લ. માંકડ

          જૂની રમૂજ યાદ આવી ગઈ. ચલચિત્ર જોવા ગયેલા બે ટીખળી મિત્રો અનિલ અને બકુલ  વચ્ચે શરત લાગી.આગળ બેઠેલા ટાલ વાળા ભાઈને જો ટપલી મારે તો સામેવાળો પાંચસો રૂપિયા આપે. પહેલો વારો અનિલનો હતો.ચલચિત્ર શરુ થયું.અંધારું છવાયું.અનિલે આગળવાળા ટાલગ્રસ્ત ભાઈને જોરથી ટાપલી મારીને તરત બોલ્યો ,કેમ છો પોપટ ,ઘણા દિવસે મળ્યો.'- પેલા ભાઈ ગુસ્સામાં ઉભા થયા ને બોલ્યા,' હું પોપટ નથી અને તમને ઓળખતો પણ નથી સમજ્યા.' અનિલે માફી માગતાં કહ્યું,'સોરી પણ મારા મિત્ર પોપટની ટાલ પણ તમારી ટાલ જેવી જ છે એટલે ભૂલ થઇ.'  હળવેથી બાજુમાં બેઠેલા બકુલ પાસેથી પાંચસો રૂપિયા સેરવી લીધા.

           મધ્યાન્તર પછી બકુલનો વારો હતો .પણ એ ઓછો સાહસિક હતો એટલે એણે છટકી જવા,  અનિલ પાસે નવી શરત મૂકી.' મારે બદલે તું જ એ ભાઈને બીજી વાર ટાપલીદાવ કરે તો હું તને હજાર રૂપિયા આપીશ.ન મારી શકે તો તારે મને પાંચસો જ આપવાના.' અનિલે શરત મંજુર રાખી.અને ફરી એક વાર ....એક જોરદાર ટાપલી એ જ  ટાલ વાળા ભાઈને દઈ દીધી .અને ખુબ ઝડપથી બોલ્યો,' એલા  પોપટ હમણાં મધ્યાન્તર પહેલાં તારા જેવા જ એક ભાઈ મારી આગળ બેઠેલા ને મેં ભૂલથી બિચારા એમને ટાપલીદાવ કરેલો.ખરું થયું નહિ  પોપટ ? '-

            આ વખતે પેલા ઈજાગ્રસ્ત ભાઈનો મગજનો પારો 100 ડિગ્રી ઉપર હતો.' અરે ભાઈ ,તમે પહેલીવાર પણ મને જ ટાપલી મારેલી.એનો દુખાવો મટ્યો નથી ત્યાં ફરીને મને જ પાછો પોપટ સમજીને પાછી ટાપલી મને જ મારી.સમજો છો શું તમારા મનમાં ? ' – “ ભાઈ બુલ થઇ ગઈ .માફ કરજો..અંધારામાં દેખાયું નહિ.મને એમ કે પોપટ મારી આગળ બેસવા આવી ગયો હશે.'  હજાર રૂપિયા અનિલના  ખિસ્સામાં આવી ગયા..ચલચિત્ર પૂરું થયું બંને ઘર ભણી અને પેલા ભાઈ વાળ ઉગાડવાની દવા લેવા.     

          આ લેખ માત્ર ને માત્ર પુરુષોને સમર્પિત છે.બહેનો ફક્ત વાચક જ બની શકશે. હા,, ઘરમાં કોઈ પરિવાર જન ને ટાલ હોય તો ફકત નિરીક્ષણ કરવાની  છૂટ. .હાથ ફેરવવાનું કે ટીકા કરવાનું દુષ્કૃત્ય ન કરવું.

          સામાન્ય રીતે પતિ તરીકે બહેનો વાળ વાળાને જ પસંદ કરે છે.એને  કારણે લગ્ન પછી ટાલ પડવાનું કારણ લોકો, લગ્ન ગણે છે પણ એ સદંતર ખોટું છે કારણકે કેટલીય વાર જ્યાં ટાલ વાળા યુવાનો પસંદગી પામે છે તે કન્યાઓ  ખુબ નસીબદાર  બને છે.

           ટાલ ને ઘણા લોકો આર્થિક સ્થિતિ સાથે જોડે છે.અને ઘણા અંશે તે સાચું પણ છે.એટલે જ લેખનું મથાળું ' ટાલ એટલે માલામાલ રાખ્યું છે.ટાલ વાળા મિત્રો આર્થિક રીતે સમૃદ્ધ હોવાના ઘણા કારણો છે.સૌથી અગત્યની બચત સાબુ અને તેલનો  નહિવત ખર્ચ .એટલે મોટી બચત. નથી માનવું ને ? લ્યો,કરો ગણતરી. સ્નાનાર્થે વપરાતો મહિને ત્રણ સાબુ.વાર ગણો તો માથું ધોવાનો ભાગ બાદ કરીએ તો માત્ર  મહિને એક સાબુ.. બાર મહિનાના ચોવીસ સાબુની બચત.

        માથાનું સારી જાતનું તેલ મોંઘુ જ આવે છે.ઘરના ટાલ વાળા પરિજનનો વર્ષ આખાનો વપરાશ માત્ર પાંચસો એમ.એલ. જ હોય.એટલે જો ઘરમાં જો ટાલવાળા વધારે સભ્યો હોય તો જલદી લખપતિ થઇ જવાય.  .દીવાનખાનામાં રાત્રે સાથે ઘરના ટાલસભ્યો બેઠા હોય તો ઓછા વોલ્ટનો વીજળી ગોળો લગાવીએ તો ચાલે કારણકે ટાલો ના ચમકારાના પરાવર્તન ને લીધે આખો ખંડ ઝળાંહળાં થઇ જાય.

           એવી જ બીજી વાત કેશ કર્તનના ખર્ચની બચત ની છે. બિચારા વાળવાળા ભાઈઓ  એરકંડીશન વાળા કેશ કર્તનાલાયમાં જાય તો મહિને ચારસોથી પાંચસો ચૂકવે. હજામ  આપણા જ વાળ વેચીને બીજા ઘણા રૂપિયા મેળવે ખરેખર તો એમાં પણ આપણો ભાગ ગણાય પણ હજી સુધી તેના હક્કનો કોઈ દાવો અદાલતે થયો નથી એટલે દેશના એંસી કરોડ ભાઈઓ એ ભોગવે છે વિચારો ,ટાલ વાળા કેટલા નસીબદાર !

            ટાલ અને ગાલ ને સીધો સબંધ છે.બંને સ્થળે મરજી મુજબ વધે અને બંનેની માવજત પણ એટલી જ લેવી પડે.ટાલ અને ગ઼ાલ જેટલા લીસાં હોય એટલા સારા લાગે. નજરે જોયેલી  એક સત્યઘટના - કોલેજ પ્રવાસ રાત્રે પાછો વળતો હતો. બધા  હળવા મૂડ માં હતા.બસમાં  લાઇટ્સ ચાલુ હતી.એક ટીખળી ને મજાક સૂઝી , ' એક શેર સુનતા હું .- દુરસે દેખા તો સ્વાતિ મેડમ કા ગાલ લગા ,પાસ જા કર દેખા તો વ્યાસ સાહબકા ટાલ નિકલા .'- પરિણામ આવ્યું કે બીજે દિવસે કોલેજ આચાર્ય એ ટીખળી ને બે દિવસ માટે કોલેજ માંથી બરતરફ કર્યો!

            ટાલ ને રાજકારણ સાથે ગાઢ સબંધ છે.અનેક અનેક મહાનુભાવોને ટાલ હતી અને છે .આચારસંહિતા ભંગ થાય એટલે વધુ તો ન લખાય પણ એટલું ખરું કે  કેટલાકે ટાલ ઢાંકવા ટોપીનો ઉપયોગ કર્યો.                        

          એટલું ચોક્કસ છે કે દિવસોદિવસ ટાલવાળા વધતા જાય છે એટલે  જો વિજ્ઞાનીઓ પર્યાવરણ અને માનવીની જીવનશૈલીના  માપદંડ માટે સંશોધન કરે તો  ગુરુવર્ય  ઋષિઓથી માંડીને  વર્તમાન ટાલ મિત્રોનો અભ્યાસ થઇ શકે.સંભવ છે કે પૃથ્વીનું આયુષ્ય નક્કી કરવામાં પણ આ સંશોધન ઉપયોગી થાય અને ટાલ મિત્રો તેમાં સહભાગી થવાનું ગૌરવ લઇ શકે.

Wednesday, February 4, 2026

વિશ્વ કેન્સર દિવસ

 


                                વિશ્વ કેન્સર દિવસ { 3 જી ફેબ્રુઆરી }

            પૂર્ણ રીતે જેને હરાવી નથી શકાયો એવો માનવજાતનો મહાશત્રુ એટલે કેન્સર. સૈનિક, દુશ્મન સામે પુરી તાકાત સાથે લડે. લડતી વખતે તેને અંતિમ પરિણામની હંમેશ હકારાત્મક આશા હોય  અંતે કોઈ સૈનિક જીતે તો કોઈ હારે.

            આજે જેને નિકટથી પ્રત્યક્ષ જોયેલા બે કેન્સરગ્રસ્ત બ્યાક્તિની વાત લખવી છે. આશરે પચાસેક વર્ષ પહેલાં કાકાને ગળાંનું કેન્સર થયું.અમદાવાદથી ચારસો કી.મી. દૂર ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક શિક્ષક.ધીમે ધીમે ખાવાનું અને બોલવાનું બંધ થયું..નિદાન થયું.સારવાર શરુ થઇ. એ વખતે આજના જેવી આધુનિક સારવાર અને શોધ જ નહોતાં. પણ કાકા પાસે અજબ  હિંમત  અને શ્રદ્ધા હતાં.

              સારવાર મારે અમદાવાદ જ આવવાનું..શરૂમાં દર મહિને રેડિયોથેરપી ટ્રેનમાં એકલા આવવાનું.સારવાર લઈને પાછા. .ખુબ લંબાયા સમય સુધી અવિરત ચાલ્યું. રિપોર્ટ્સ હકારાત્મક આવતા ગયા એટલે પછી દર બે  મહિને આવવાનું .પછી ત્રણ માસે અને પછી છ મહિને આવવાનું. આવું લાગલગાટ પંદર વર્ષ.બે ચાર વાક્યમાં લખાયેલી આ વાત વ્યવહારમાં કેટલી કઠિન હશે એ કલ્પના જ કરવી રહી.

            એ વખતે કચ્છ માંડવીમાં એક  પ્રતિષ્ઠિત ડોક્ટર કેન્સર જાગૃતિ માટે અલગ અલગ  ગ્રામ્ય વિસ્તાર અને પ્રદેશમાં કાર્ય કરતા.. તેઓ કાકાને સાથે લઇ જતા.અને કાકાના સ્વમુખે કેન્સર સામે લડવાની ને જીતવાની વાત કહેરાવતા. અલબત્ત ખુબ લાંબા સમય પછી એમને અન્યત્ર પણ કદી ન મટે તેવું કેન્સર થયું .અને 'જન્મે તેનું મૃત્યુ.' --  ક્રમે તેઓ વિદાય લઇ ગયા.કેન્સર સામેની લડત ખરેખર  દાદ માંગી લે તેવી હતી.આવેલ સ્થિતિ સામે  ધીરજપૂર્વક લડવું ,પોતાની અને પરિવારની હિંમત ટકાવી રાખવી એ ખુબ મોટી કસોટી હોય .કાકા તેમાંથી ચોક્કસ પાર ઉતર્યા.

              બીજો કિસ્સો કરુણાજનક છે.ભાણેજ { બહેનની પુત્રી } ને આજથી છ સાત વર્ષ અગાઉ તેની પચાસેક વર્ષની આયુમાં કેન્સરનું નિદાન થયું.પુત્રો અને પરિવાર સતત સારવાર અને સેવામાં લાગી ગયા.ખર્ચાળ પણ આધુનિક સારવાર ચાલતી રહી.ખુબ લમ્બો સમય સારવાર. પણ કેટલીક દવાઓ શરીર ક્ષમતાથી પર હોય એ રહે સૌરાષ્ટ્રના મોટા શરિરમાં .એક બે તેની પાસે જવાનું પણ થયું.ઓળખાય નહિ તેવું શરીર.ઇન્જેક્શન અને તીવ્ર દવા ડોઝના આંકડા કદાચ ડોક્ટરોને પણ યાદ નહિ હોય.

           .ગુજરાતીમાં કહેવત છે,' બકરું કાઢતા ઊંટ પેઠું .' જેવો તાલ એમના કિસ્સામાં થયો .બીજી અનેક અનેક સમસ્યાઓ તેમના શરીરમાં થતી ગઈ.શરીર કૃશ થતું ગયું.કરુણા તો ત્યારે ઉપજે,  જયારે પોતે દર અઠવાડીએ યાદ કરીને ફોન કરે .પીડા થતાં પણ ફોન પર  હસતે અવાજે કહે –‘ ,મને સારું છે.ચિંતા ન કરશો.' જે દેશી ઉપચારો બતાવીએ તે કરે.તકલીફો વધે એટલે ડોક્ટર ,દવા અને દવાખાના પણ વધે

           .ક્યારેક ખબર હોવા છતાં માણસ ઝાંઝવા ના જળ પાછળ દોડતો હોય.આવું એમના કિસ્સામાં હતું.ખુબ મોડેથી જાણવા મળ્યું કે  આ કેન્સર તો 'રક્તબીજ ' રાક્ષસ પ્રકારનું હતું .તેને તો રખાય તેટલું અંકુશમાં જ રાખવાનું હતું .સૈનિક  હારી ગયો.

Thursday, January 15, 2026

અટકમાં અટકચાળો

                                     

                                               અટકમાં  અટકચાળો

             એકવાર એક આચાર્યની શહેરના છેવાડાના વિસ્તારમાં એક શાળામાં બદલી થઇ.. જતાં વેંત આચાર્યશ્રીએ કર્મચારીગણ હાજરીપત્રક  ખોલ્યું..ત્રણ  શિક્ષકમિત્રોની અટક દેસાઈ ને બે ની વોરા.આચાર્યના મોં પર ખુશીની લહેર પ્રસરી. એક જ શાળામાં આટલા નાગર શિક્ષકો ? એક તો હું રહ્યો નાગર ને આ મારા જ્ઞાતિબંધુઓ .વાહ કામ કરવાની  ખુબ મજા આવશે..થોડી વારે શિક્ષકસભા  શરુ થવાની હતી.ત્યાં બે દેસાઈ સાહેબ મળવા આવ્યા .ઉત્સાહી આચાર્ય બોલી  ઉઠ્યા ,'જય હાટકેશ .' પ્રત્યુત્તર આવ્યો. ‘જય ગોગા મહારાજ ' .આચાર્ય ચોંક્યા .અને બોલ્યા ' નમસ્તે નમસ્તે,તમે દેસાઈ એટલે ....? ઉત્તર આવ્યો ,' હા સાહેબ અમે રબારી છીએ.' ત્યાં તો બાજુમાંથી એક  શિક્ષિકા બહેન બોલ્યાં ,' એમ તો હું પણ દેસાઈ જ, સાહેબ પણ અમે તો અનુસૂચિત જનજાતિમાં આવીએ.' ભોંઠપ અનુભવતા ઠાવકા મોં એ આચાર્યશ્રીએ મનમાં ને  મનમાં  બોલ્યા '  પૂછવાને બદલે આના કરતા સેવાપોથી જોઈ લીધી હોત તો ?' વાત વળતાં કહ્યું,' સરસ. સરસ .ચાલો  બેઠક  સભા  શરુ કરીએ.'

          સભા પછી કારકુન વર્ગ હાજરી પત્રકો લાવ્યા..વળી આચાર્ય પાછા ચોંક્યા..મોટાભાગના વિદ્યાર્થીઓ 'પટ્ટણી'  અને ' રાણા' અટક વાળા. આ વખતે  આચાર્યે એ ઉત્સાહ બતાવવાને બદલે કારકુનને જ પૂછી લીધું,' આ વિસ્તારમાં સામાન્ય રીતે ક્યાં સમાજના પરિવારો રહે છે?' કારકુને ઉત્તર વાળ્યો ,' મોટાભાગના દેવીપૂજક છે અને બીજા ઘણા પરિવાર વાલ્મિકી સમાજના છે.' બીજીવાર ભોંઠા ન પાડવાનો આચાર્યે હાશકારો અનુભવ્યો કારણકે આ અટકો પણ નાગરોની છે એટલે  વર્ગહાજરીપત્રક જોઈને એમને તો થયેલું કે શાળા નાગરચકલામાં જ છે કે શું ?.      અટકમાં એકલા આચાર્ય અટવાયા  એવું નથી .આપણે બધા ક્યારેક ને ક્યારેક અટવાઈએ છીએ.

           અટકનો ઇતિહાસ કૈંક અવનવો જ છે.વિશાળ જ્ઞાતિમાંથી પારિવારિક ઓળખ માટે અટક એક માધ્યમ છે.હકીકતમાં આપણે ઋષિ સંતાન.ઋષિનાં નામ પરથી ગોત્ર આવ્યું.પછી આવી અટક.કોઈ અટક ગામના નામ પરથી તો કોઈ વ્યવસાયના આધારે તો કોઈ વળી પ્રાણી પક્ષીને જીવજંતુ પરથી !અને હવે તો એકબીજાની અટક ઉઠાંતરી શરુ થઇ ગઈ છે.એક અટક અનેક અનેક જ્ઞાતિમાં હોય એટલે કેટલીયે વાર અર્થ- અનર્થ થાય.' મહેતા' અને ' દેસાઈ ' અટક તો એટલી બધી જ્ઞાતિ એ લઇ લીધી છે કે  ન પૂછો વાત.

            સમાજ માટે હંમેશ સંવેદનાના સાથીદાર કનુભાઇ બેસણાની જાહેરાત જોઈને તેમના સ્વજનને ફોન કરે ને દર વખતે એમની ધારણા કરતા જુદી જ જ્ઞાતિના પરિવાર નીકળે. બાબુલાલને હંમેશ મફતનું ખાવાની ટેવ.શુભપ્રસંગોના  માહોલ વખતે અલગ અલગ સમારંભ ગૃહમાં પહોંચી જાય. જ્યાં ' મહેતા પરિવાર આપનું સ્વાગત કરે છે ' લખ્યું હોય ત્યાં ઝાપટી આવે કારણકે પોતે મહેતા અટક ધરાવતા હતા.

            બે સત્ય ઘટના - અમદાવાદની એક જ્ઞાતિ સંસ્થાને એક અનુદાન મળ્યું .જેમાંથી  દાતાના વડીલની  સ્મૃતિમાં તેમની જ્ઞાતિની કોઈ સેવા આપનારનું સન્માન કરવાની સૂચના આપી..સન્માન આપવાનો પ્રારંભ પણ થયો.પણ  બન્યું એવું કે  જેમની સ્મૃતિમાં સન્માન થતું હતું તે  નામના એક જાણીતા સાહિત્યકાર પણ હતા!  નામ અને અટક સરખા અને એ પણ અન્ય જ્ઞાતિના ! કેટલાક જ્ઞાતિજનોએ તો વિરોધ નોંધાવવાનો શરુ કર્યો.આખરે લોક ગેરસમજણ ને ટાળવા આયોજકોએ  સ્પષ્ટ્ટતા પણ કરી અને જેની સ્મૃતિમાં એવોર્ડ અપાતો હતો તેના નામમાં, પિતાનું નામ ઉમેર્યું અને ભળતી અટકની ચોખવટ કરવા અટકની બાજુમાં જ્ઞાતિ પણ લખી.

           એવી જ અટકની બીજી ઘટના પણ આના જેવી જ છે.કોઈ જિજ્ઞાસુએ પોતાની નાગર જ્ઞાતિનાં સાહિત્યકારોની વિગતો એક્ઠી કરવાનું શરુ કર્યું..ક્યાંક ક્યાંક ચોકસાઈ કરવા તેઓ  વિદ્યમાન  લેખકોને પત્ર પણ લખતા.જાણીતા લેખક ચંદ્રકાન્ત બક્ષીએ ઉત્તર પાઠવી ને તેમને તેમના પ્રયત્ન માટે  અભિનંદન પણ પાઠવ્યા અને પત્રના અંતે લખ્યું કે ' અકસ્માતે હું નાગર નહિ પણ જૈન છું.'

            વર્ષો પહેલાં એક નવયુવાન સાહિત્યકારોના મિલનમાં ગયો.ઉત્સાહી યુવાન સાહિત્યકાર મોહમ્મદ માંકડના હસ્તાક્ષર લેવા ગયો. સાહિત્યકાર જવાની ઉતાવળમાં હતા એટલે સહેજ આનાકાની કરતા હતા.યુવાને એક તીર અજમાવ્યું ,' આપણે બે ય માંકડ અટકધારી છીએ ભલે તમે મુસ્લિમ ને હું નાગર પણ અટકનું માન તો રાખો.'- મહંમદ માંકડે હસ્તાક્ષર આપી દીધા .

             નાગર જ્ઞાતિ મૉટે ભાગે ઉચ્ચ વ્યવસાય કે નોકરી સાથે જોડાયેલી હોય એટલે 'નાગર ચવાણા ' કે '  વૈષ્ણવ  દાબેલી ' ની લારી જોઈને દૂરથી ભાગે. ન કરે નારાયણ ને સગા સમજીને મફત ન ખવરાવે એટલે.! કાયમ લાંબી મૂછવાળા બહાદુરસિંહ પરમાર અને  ગજેન્દ્રસિંહ  સોલંકી હંમેશ પોતાના નામમાં અટક પાછળ કૌંસમાં { ક્ષત્રિય } લખે. પ્રધાનમંડળમાં સાત દેસાઈ હોય પણ સાતેય ની જ્ઞાતિ જુદી હોય! લાગે છ ને નવાઈ  ?

              ને વોરાની તો ન પૂછો વાત .કટલેરીની દુકાન શાંતિલાલ વોરા { જૈન } તેમાં નોકરી કરે સૈફુદીન વોરા ને ખરીદી કરવા જાય.  નાગરાણી શ્વેતાબેન વોરા સૈનિક દેવુસિંહ મારુ તો કહે કે ,’ હું તો દુશ્મન દેશના લશ્કરને ગોળીએ મારું.’ ત્યાં સામે બેઠેલા અમીચંદ મારુ { જૈન } બોલી ઉઠ્યા ,' જીવહિંસા કરતાં સમજણનો રસ્તો લેવાય ને ?' ત્યાં પડખેથી મુત્સદી નાગર મુનીન્દ્રભાઈ મારુ બોલ્યા ,વાત તો તમારા બે ય ની સાચી છે પણ જેવો સમય ને જેવો દુશ્મન તેવો ન્યાય થાય.'       

              દેશને સાદગી અને અહિંસાના પૂજારી એવા મોહનદાસ ગાંધી જેવા મહાન રાષ્ટ્રપિતા મળ્યા પણ અત્યારે તો ગાંધી અટકના ગડબડ ગોટાળાની વાત જ ન  થાય. સુરતમાં આવકવેરા અધિકારી આકસ્મિક તપાસમાં પહોંચ્યા સુબંધુ ધોળકિયા પાસે..એમને એમ કે કોઈ રત્ન બજારના કોઈ સોની હશે આ તો નિયમિત કરવેરો ભારત નાગર બેન્ક  અધિકારી નીકળ્યા ! અટકના આવા અટકચાળા જોઈને વર્ષો પહેલાં દેશના એક વિચક્ષણ રાજપુરુષે તો સૂચન પણ કરેલું કે દરેક ભારતવાસી પોતાની અટકને બદલે ' ભારતીય ' લખે તો દેશની એકતા તો વધે પણ અટકચાળા પણ ઘટે.

 

Tuesday, December 30, 2025

ભદ્રંભદ્ર ની આત્મકથા

                                        

                                             ભદ્રંભદ્ર ની આત્મકથા

            હા હું ભદ્રંભદ્ર ,એકસો પચીસ વર્ષનો થયો.ગુજરાતના લેખક રમણભાઈ નીલકંઠના મનોદર એટલે કે મન રૂપી ઉદરમાં જન્મ્યો તે વખતે  મારા પિતાતુલ્ય રમણભાઈને વિચાર આવ્યો કે  અંગ્રેજોની ગુલામીમાં બિચારો ગુજરાતી જરાય હસતો નથી.લાવને જરા પ્રયત્ન કરું.અને  એમણે ગુજરાતની પ્રથમ કદાવર સ્વરૂપની હાસ્ય નવલકથા લખી .અને એના મુખ્ય પાત્ર તરીકે મારો જન્મ  થયો.

            આમ તો મારા ફોઈએ મારુ નામ દોલતશંકર પડેલું પણ મારા પિત્તાશ્રી એ કહેલું કે તારે જીવનભર ગુજરાતી કે સંસ્કૃત સિવાય એક શબ્દ પણ બોલવાનો નથી.હવે દોલત શબ્દ તો અરબો ભાષાનો એટલે તરત જ  મને મારુ નવું નામ ભદ્રંભદ્ર  મળ્યું..આ સંસ્કૃત શબ્દનો અર્થ છે સારામાં સારું.



           હું 125 વર્ષનો થયો .મારે અનેક અનેક દુઃખ વ્યથા છે પણ છતાં હું જીવીશ જ્યાં સુધી એક ગુજરાતી ભાષાપ્રેમી જીવશે ત્યાં સુધી જીવીશ..જો કે મારી સમસ્યાઓ આજની નથી .વર્ષો પહેલાથી છે.મારી વ્યથાને લેખક ચંદ્રકાન્ત બક્ષીએ તેમના એક પ્રહસન ' દેડકાની પાંચ શેરી'માં વાચા આપી છે. વાત જાણે એમ છે કે એક વાર કવિ વિજયરાય વૈદ્ય બોમાર પડયા.સહુ કવિ લેખક તેમની ખબર પૂછવા ભેગા થયા. પણ આ તો લેખકો હતા. ચડી ગયા ચર્ચાએ ..આનંદશંકર ધ્રુવે સંસ્કૃત  મહાકાવ્ય  ગીત ગોવિંદ નો ગુજરાતી અનુવાદ સંભળાવવાનું શરુ કર્યું. ને  બધાને ઝીલવા કહયું.' લલિત લવંગ લતા પરિશીલન ,કોમય મલય સમીરે, મધુકર નીકર  કરંભિત કોકિલ,કૂંજાતી કુંજ  કુટીરરે  ' ભારેખમ પ્રાસ સાંભળીને કવિ કાન્ત અકળાયા ,બંધ કરો આ તો લટપટ લટપટ બોલતા જીભ મારી તૂટી રે.' નરસિંહરાવથી રહેવાયું નહિ .' તમારા આ સંસ્કૃતના અનુવાદ કરતાં અમારો  આ અંગ્રેજીનાં ' Liad me kindly  to the Light ' નો ગુજરાતી અનુવાદ કેવો બધાને   મોઢે ચડી ગયો છે.?'  અહીં વિજયરાયની ખબર પૂછવાનું તો બાજુએ રહ્યું.અને બધા બાખડી પડ્યા.મિત્રો , બક્ષી સાહેબે એમાં મારા મનની વાત કરી છે., એમાં મારી ગુજરાતી ભાષા નું શું ?

            વખતે ઘણા લેખકો અંગ્રેજી ભાષાના  એટલા તો પ્રભાવમાં  હતા કે ન પૂછો વાત.રત. તમને આશ્ચર્ય થાય તેવી એક વાત કરું. આપણા જાણીતા કવિ બળવંતરાય ઠાકોર -બ.કે.ઠા એ એકવાર રાષ્ટ્રપિતા ગાંધીજીને અંગ્રેજીમાં પત્ર લખ્યો.પત્ર જોઈને બાપુ તો એટલા નારાજ થયા કે તરત જ બ.કે.ઠા ને ઉત્તર લખ્યો કે ,' એક ગુજરાતી બીજા ગુજરાતીને અંગ્રેજીમાં કેમ પત્ર લખે.? મારુ ચાલશે તો આઝાદી મળ્યા પછી આવી ભૂલ કરનાર ને હું છ માસની કેદની સજા આપવાની સલાહ આપીશ.

          'અંગ્રેજી માધ્યમની શાળાઓ વધી ત્યારથી તો મારી  સમસ્યા અનેકગણી વધી ગઈ છે.પેઢીઓથી વર્ષો સુધી શુદ્ધ  ગુજરાતી બોલતા પરિવારમાં બધા સાચું ખોટું મિશ્રિત ભાષામાં બોલતા થઇ ગયા છે.રસ્તે ચાલતા માં એના દીકરાને કહે ,બેટા મારી ફિંગર પકડ ,સામે કાઉ આવે છે.' નાનું બાળક નક્કી ન કરી શકે કે એમાં કયો શબ્દ મારી માતૃભાષાનો છે. અરે ત્યાં સુધી  કે  શાળાઓ પણ ઘેર વધારે સમય અંગ્રેજી બોકવાની સલાહ આપે 

         મિત્રો માની પણ ન શકો એવો પ્રસંગ તમને જાણવું.જાણીતા કવિ તુષારભાઈ શુક્લએ કહેલો એક પ્રસંગ યાદ આવે છે.એમના એક નિકટ સ્નેહીનો પુત્ર અમદાવાદની એક મોટી અંગેજી માધ્યમની શાળામાં ભણતો હતો.એક દિવસ  બાળકના વાણીને એક દિવસ એક પત્ર મળ્યો ,'  આપનું બાળક શાળા પરિસરમાં ગુજરાતી બોલે છે ,જે શાળા નિયમ વિરુદ્ધ છે .જેથી સજા શુલ્ક રૂ 1000/- રૂબરૂ આવીને ભરી જશો.'  વાલી તો શાળાએ કોરો બેન્ક નાણાં માંગણી પત્ર  લઈને ગયા.આચાર્યને મળ્યા ને કહ્યું,' ગુજરાતી તો અમારી માતૃભાષા છે.મારો દીકરો આપના શાળા પરિસરમાં ગુજરાતી વારંવાર બોલી તમારા શાળાના નિયમનો ભંગ કરશે.એટલે બધું શાળા શુલ્ક એક સાથે લઇ લો.મારે વારંવાર ધક્કો ન પડે. 

            'મિત્રો સમય અને આવશ્યકતા અનુસાર ચાલવું પડે એની ના નહિ પણ ત્યાં વ્યવહાર બુદ્ધિ તો વાપરવી પડે કે નહિ ?  માનનીય પ્રધાનમંત્રી ખુબ સાચી વાત કરે છે ,' અંગ્રેજીનો પ્રભાવ પણ નહિ અને અભાવ પણ નહિ.'

            હકીકતમાં મિત્રો આપણે ગુજરાતીઓ કેટલાં ઊંચાં મનના છીએ.! કોઈ એક રૂપિયો આપે તો આપણે તેને લખી આપીએ ' રૂપિયો એક પૂરો મળ્યો છે.' અને ભુરીયા અંગ્રેજોએ આપણને કેવી ટેવ  પાડી ? કોઈ પાસેથી લાખ રૂપિયા મળે તો લખી આપીએ ,' Received Rupees One Lac Only .' પણ હવે આપણી સંકુચિતતા પણ વધી જ ગઈ છે.રાજા માટે વપરાતો શબ્દ 'મહારાજ' આપણે રસોયા માટે વાપરતા થઇ ગયા.'ગુરુ ',દાદા જેવા માનાર્થ શબ્દો ગુંડા અને મવાલી માટે વપરાય .

           જેના લાખો દર્શકો છે તેવા દૂરદર્શનના સમાચાર વાચકો અને ઉદ્ઘોષકો જયારે  ખોટા શબ્દ અને અશુદ્ધ ઉચ્ચારો કરે ત્યારે મને કાળજામાં કોઈ મહારોગ થયો હોય તેમ અનુભવાય .

           એમાંય જ્યારથી વોટ્સએપ આવ્યું છે ત્યારથી તો મારી વ્યથા અસહ્ય થઇ ગઈ છે Eng રાતી અને  ગુજlish  વપરાય ત્યારે લખનારો તો ફટાફટ લખી નાખે પણ વાંચનારો બે વાર વાંચે ત્યારે સમજાય.કેટલીયે વાર અનર્થ પણ થાય.'Have ame bagger valaa thaya ' માં ba gger  એટલે બે ઘરના મલિક કે ભિખારી ?  શું સમજવું ?

          છતાં મિત્રો ભલે હું સવાસોનો થયો પણ હજી ઘણું જીવવાનો છું.કારણકે મારી ગુજરાતીને સમૃદ્ધ બનાવનારા અનેક લેખક કવિ ખુબ સરસ લખે છે અને સરસ મજાના  સ્વરકારો અને ગાયકો સુમધુર ગુજરાતી ગીતો માં ગુર્જરી ના આકાશમાં વહેતુ કરે ત્યાં સુધી હું જીવીશ જ. ચાલો હવે મારે વીર નર્મદની ભૂમિ પર જવાનું છે .ત્રિચક્રી વાહન આવી ગયું છે.અને અગ્નિરથ વિરામસ્થાન પર પહોંચવાનું છે.આવજો.જય ગુજરાતી જય જય ગુજરાત.