Readers

Wednesday, July 16, 2025

ઉતારો શીશે

                                             

                                                          ઉતારો શીશે                                           દિનેશ લ. માંકડ

          અંતરિયાળ ગામના બાબુ માસ્તરને અડધી રાતે છાતીમાં દુખાવો ઉપડ્યો  .ઘરના બધાં અને ગામ આખું ચિંતામાં પડ્ય .કાળું ડ્રાઈવર પોતાની ટેક્ષી લાવ્યો.ને દોડ્યા શહેર તરફ .સ્ટાફના કોઈ જાણીતા ફેમિલી ડોક્ટર પાસે પહોંચ્યા. ડોક્ટરે તપાસ્યા. જરૂરી લેબોરેટરી ટેસ્ટ અને કાર્ડિયોગ્રામ કરાવ્યા.ને બોલ્યા ,' બિલકુલ ચિંતા ન કરશો.તમારા બાબુ માસ્તરને કશું નથી..અતિશય વાયુ પ્રકોપ જ છે.' માસ્તરને યાદ આવ્યું. ગામના લગ્નોના નિમત્રંણમાં ચાર દિવસથી ચાર વાર વટાણા બટાકાના શાક ખાધે રાખ્યા.એનું પરિણામ છે.હસતે મોઢે બધા ગામ પાછા ફર્યા.

           એક વિચારક હંમેશ કહેતા  કે ડોક્ટર  તો ભગવાનનો બીજો અવતાર છે.અનેક અનેકને મોતના મુખમાં થી બચાવે કે મોટી પીડામાંથી રાહત અપાવે. અને વાત સાચી પણ છે .જ્યાં સુધી ડોક્ટર ,ડોક કટર ન બને ત્યાં સુધી.

          નવમા ધોરણમાં અભ્યાસ કરતી શીલા સાયકલથી શાળાએ જતી.એક દિવસ ઉતાવળમાં અચાનક સાયકલ પરથી સહેજ પડી ને પગ મચકોડાયો.ડોક્ટર પાસે ગયા.એક્ષરે પાડ્યો. જોઈને ડોક્ટર બોલ્યા ,'એમના તો સ્નાયુ ફાટી ગયા છે.અમદાવાદ જવું પડશે. અમદાવાદના જાણીતા  ડોક્ટરનું નામ આપ્યું. ચિંતામાં પડેલો પરિવાર તરત જ  એ તરફ.અમદાવાદના ડોક્ટરે એક્ષરે જોઈને કહ્યું ,'આ એક્ષરે નહિ  ચાલે. .નવા એક્ષરે અને જરૂરી બીજા રિપોર્ટ તો તમારે કરવવાજ પડશે. નીચે અમારી ગાડી ઉભી છે .તેમાં જાવને ખુબ જાણીતી હોસ્પિટલમાં આ રિપોટ્ર્સ થઇ શકશે.અને તો જ સારી ટ્રીટમેન્ટ થશે જરૂર પડે મોટું ઓપરેશન પણ કરવું પડશે..નહીંતર કાયમી ખોટ રહી જશે.' દીકરીના પિતાની ચિંતામાં વધારો થયો.

          અનાયસે તેમના અમદાવાદમાં રહેતા તેમના સ્નેહી તેમને મળવા ત્યાં આવ્યા.પિતાએ તેમને વિગત સમજાવી.સ્નેહીએ એક નાની સલાહ આપી ' જુઓ તમને વાંધો ન હોય તો મારો પાડોશી ફિઝિયોથેરપિસ્ટ સામે જ સરકારી હોસ્પિટલમાં છે .તેમને જરાક મળી લેશું ? ગયા.અને સ્નેહીનાં પરિચિત ડોક્ટરે, પોતાના સિનિયર ઓરથીપેડીકને એક્ષરે બતાવીને મત લીધો અને પછી દીકરીના પિતાને જણાવ્યું કે ,' કશું ચિંતાજનક નથી.સહેજ  નસ એક બીજા પર ચડી છે.હું એક બે કસરત બતાવું છું .એકાદ અઠવાડિયું કરશો એટલે મટી જશે.' પિતાએ હાશકારો અનુભવ્યો ને ખોટી વાઢકાપ અને લખો રૂપિયાના ખર્ચ માંથી બચવા માટે પ્રભુનો આભાર માન્યો અલબત્ત દૂર શહેરમાંથી અમદાવાદ મોકલનાર બિચારા ડોક્ટરનું કમિશન ન પાક્યું !

            સમયની સાથે તબીબી વિજ્ઞાનની શોધ માણસને ખુબ આશીર્વાદ રૂપ છે.તબીબોમાં પણ ચોક્કસ રોગ માટેનુ નિષ્ણાતપણું વધ્યું છે .એક જ સ્થળે તમામ ઉત્તમ સુવીધા આપતી  સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ વધી છે.એટલે ગંભીર રોગોમાં પણ ઉત્તમ સારવાર મળે છે. યોગ્ય નિદાન થાય.યોગ્ય સારવાર થાય.એ સારી વાત છે.

            પણ કેટલીયે વાર દર્દી ખોટી રીતે દંડાય ત્યારે ખુબ દુઃખ થાય.એમાંય ઘણીવાર તો સરકારી યોજનાઓ અને મેડિક્લેઈમની ખબર પડે તો તો ડોક્ટર સહેમ ઈલાજ માટે મન મૂકીને વરસી પડે.કેટલાએ દવાના ઓવરડોઝ જાય ને શરીરને ગંભીર આડઅસર પણ થાય પણ એમને શી ચિંતા?  પ્રયોગ તો આખરે દર્દીના શરીર પર અને તેના જોખમે કરવાનો છે ને ? ક્યાં ડોક્ટર પોતાના શરીર પર કરવાના છે ? એક નિકટના સગાને 65 વર્ષની વયે કેન્સરનું નિદાન થયું.એક બે ઓપરેશન થયાં.દોઢ -બે વર્ષ થી વધારે સમય  કિમોથેરપીના ડોઝ ગયા.ખોરાક ઘટ્યો ,રોગ પ્રતીકારકતા ઘટી.અન્ય સમસ્યાઓ વધી.ખુબ લાંબા સમય પછી ડોકરે તેમના દીકરાને કહ્યું આ તો  કદી નહિ મટવા પ્રકારનું કેન્સર છે. દીકરાને ડોક્ટરને પૂછવાનું મન થયું કે ,' સાહેબ આપણા માતુશ્રીને જો આ પ્રકારનું કેન્સર  હોત  તો પણ તમે આ જ સારવાર કરી હોત ?'-

           એકવાર એકે  હોસ્પિટલમાં જવાનું થયું. ડોક્ટર પાસે  મોટી દવા કંપનીના એક M .R . બેઠા હતા.એટલે બહાર બેસવાનું થયું.દરવાજો અડધો ખુલો હતો એટલે સંવાદ સંભળાતો હતો..- M .R  સાહેબ,-“ આ વખતે ક્યાં જશો ,કેરાલા કે ઉટી ? તમારા કુટુંબ સભ્યો અને તારીખ જણાવો એટલે ટિકિટ મોકલાવું.'' ડોકટરે વિગત આપી. ફરી M .R   એ કહ્યું ,' સાહેબ ,અમારા સેલ્સ મેનેજરે કહ્યું છે કે જો આપનું અમારી દવાનું પ્રિસ્ક્રિશન આ વખત કરતા ડબ્બલ થશે તો આવતા વર્ષે આપને  વિદેશ ટુર ગોઠવી આપશું.'  દરવાજામાંથી દેખાતું હતું કે બગર મિષ્ઠાને ડોક્ટરના મોઢામાં આવેલું પાણી તેઓ રૂમાલથી લૂછી રહ્યા હતા.

        " અહીં ફી આપવી ફરજીયાત નથી."- શું કોઈ દવાખાનાની બહાર આવાં બોર્ડની કલ્પના કરી શકો છો ?- પણ હકીકત બિલકુલ સાચી છે.વડનગરના સેવાભાવી ડોક્ટર વસંતભાઈ પરીખએ આ બોર્ડ પોતાના દવાખાનાની બહાર લગાડેલું.વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક દર્દીઓની સેવા કરનાર એટલા તો લોકપ્રિય બનેલા કે લોકાગ્રહથી ગુજરાત વિધાનસભાના સદસ્ય અપક્ષ  તરીકે ઉમેદવારી નોંધાવી અને લઘુત્તમ ચૂંટણી ખર્ચથી જીતીને પાંચ વર્ષ રાજ્યની સેવામાં રહ્યા.એવા જ કચ્છ માંડવીના જાણીતા લેખક અને ડોક્ટર જયંત ખત્રી પણ ગરીબ દર્દી આવે તો નિઃશુલ્ક સેવા તો આપે જ પણ સામેથી પોતાના ખિસ્સામાંથી  ફળો લેવાના પૈસા આપતા.

            એક સારા ડોક્ટર સમાજને મળવા એ મોટી વાત છે.કોઈ માતા પિતા તેમના પુત્રને ડોક્ટર બનાવવાનો સંકલ્પ કરે ,ત્યાંથી તેની શરૂઆત થાય.ધોરણ બાર અને નીટ જેવી સ્પધાત્મક પરીક્ષામાં ખુબ ઉંચુ મેરીટ લેવા માટેની રાતદિવસની સખત મહેનત .સારી મેડિકલ કોલેજની પસંદગી અને મોંઘીદાટ ફી અને હોસ્ટેલ ખર્ચ.પછી અનુસ્નાતક થવા માટેની એવી જ  પ્રક્રિયા અને આગળ ઈચ્છા હોય તો એથી વધારે નિષ્ણાત થવાની વિશેષ ડિગ્રીની મથામણ .વાત અહીં પુરી નથી થતી.સરકારી કે અન્ય હોસ્પિટલમાં જોડાવાય તતો ઠીક નહીંતર પોતાની હોસ્પિટલ કરવાનો,મોંઘાદાટ સાધનો વસાવવાનો ને સ્પર્ધામાં ટકવાનો  લાંબો સંઘર્ષ તો ખરો જ .એટલે ડોક્ટર ઉંચી ફી લે કે તેમનો સારવાર ખર્ચ વધારે આવે તો તેમને વગોવવા કે ટીકા કરવી જરાય ઉચિત નથી

           પણ  તમામ ડોકટર સાહેબોને કહીએ કે સેવા અને માનવતા પ્રિય આ વ્યવસાયમાં આપ જોડાયા છો તો ઈશ્વર ઉપરાંત સાજા કરેલા દર્દીના આશીર્વાદને આપને મળશે જ.પણ એટલું જરા ધ્યાન રાખજો કે ઓપરેશનમાં તો જે કાતર વાપરતા હો તે, પણ દર્દીના ખિસ્સાપર મોટી કાતર ન ફેરવશો.

 

Saturday, July 12, 2025

જા કુત્તા બિલ્લીકો માર

                                          

                                                   જા  કુત્તા બિલ્લીકો માર                                                   દિનેશ લ. માંકડ

           અકબર બીરબલના નામે ચાલતી એક વાત યાદ આવે છે .એક વાર અકબરે બીરબલને પૂછ્યું કે ,'આપણા રાજ્યમાં પ્રામાણિક લોકો કેટલા ? '' બીરબલે ઉત્તર આપ્યો,' કદાચ કોઈ નહિ .' અકબરને લાગી આવ્યું.' એવું કદી ન હોય.' બીરબલ ઉવાચઃ .' કરી લો ખાતરી .' બીજે દિવસે ફરમાન છૂટ્યું.- ' આજ રાત્રી દરમિયાન દરેક પ્રજાજને  મહેલની પાછળ આવેલ ખાલી  હોજમાં એક એક  લોટો દૂધ નાખી જવું.'  સવારે અકબરે આવીને જોયું તો આખો હોજ પાણીથી ભરેલો..દરેક પ્રજાજને વિચાર્યું કે ' બીજા દૂધ નાખશે તો મારા એક પાણી ના લોટાથી શું ફરક પડશે ?' 

           સમસ્યા હવે શરુ થાય છે. એ પ્રજાજનોએ જયારે પુનર્જન્મ લીધો ત્યારે એ બધા લોકો કોન્ટ્રાકટર બન્યા.અને અપ્રમાણિકતા તો એમના આગલા જનમના કરમમાં તો હતી. અને બધા ક્ષેત્રોમાં વહેંચાઈ ગયા.એટલે નાગરિકો દૂધ માંગે ત્યાં પાણી હાજર થાય. સવારે વર્તમાનપત્રમાં દેશ વિદેશ કે રાજ્ય શહેરના સમાચારોને પ્રાધાન્ય હતું  .પણ હવે ભ્રસ્ટાચારના અનેક અનેક સમાચારમાં જ પાના ભરાઈ જાય છે..

          અગાઉ મોટા રોડ કે ડેમ બંધાય તે એટલા  મજબૂત  હોય લોકો તેના પર દેખરેખ રાખનાર અધિકારીને વર્ષો સુધી યાદ રાખતા. સાવ નાના ગામ ચંદીયાના વિશ્રામ કર મણે 147 અગાઉ બાંધેલો પુલ કચ્છ માંડવીમાં આજે પણ ઉભો છે.પણ આજે તો  રસ્તા, પુલ  કે ડેમ બાંધવાના શરુ થાય બીજે દિવસે જ તૂટવાના શરુ થાય અકસ્માતમાં મરી ગયેલા સ્મશાને, ઘાયલ ઈલાજ  કરાવવા દવાખાને જાય..તપાસ શરુ થાય.મુખ્ય અધિકારી, કોન્ટ્રાકટરને પૂછે.,.કોન્ટ્રાકટર તેના પેટા અને પેટા એના પેટા કોન્ટ્રાક્ટરને પૂછે. ખાસ તપાસ સમિતિ SIT નીમાય. સિમેન્ટના નમૂના પ્રયોગશાળા માં મુકાય ડામર બનાવનાર કંપનીના રિપોર્ટ મંગાવાય.હેવાય તૈયાર થાય ત્યાં સુધી પ્રજા ભૂલી જાય .મુખ્ય અધિકારી બદલાઈ જાય ને એ જ કોન્ટ્રાક્ટરનું  એ જ ડેમ ,રસ્તા.બનાવવાનું ટેન્ડર મંજુર થાય.

            જે લોકો આ ઘટનાની ટીકા કરે એમણે વિચારવું જોઈએ કે વર્ષો સુધી  જુના બ્રિજ પર ચાલવું એના કરતાં એ જ જગ્યાએ દર વર્ષે નવા નવા બ્રિજ પર ચાલવું  એ શું ઓછી ખુશી છે ? આમે ય મોટા ભાગના લોકોના  અને વાહનોના અકસ્માતના વીમા તો હોય છે.અકસ્માત ન કરીએ તો વીમા કંપનીઓ પાસે પૈસા વધી પડે  કારણકે આપણે વર્ષો વર્ષ તગડા પ્રીમિયમ ભરીએ છીએ તો વીમો પકાવવાનો આપણો અબાધિત હક્ક છે એટલે કોન્ટ્રાકટર કે અધિકારીની ટીકા કરવાને બદલે તેમનો આભાર માનવો જોઈએ કે  એમણે ભરેલ પ્રીમિયમ વસૂલવાના સહાય કરી વળી વારંવાર બ્રિજ ,રસ્તા બને તો અનેક લોકોને રોજગારી મળે .સિમેન્ટ ,લોખંડ કંપનીના ઉત્પાદન વધે ત્યાં પણ રોજગારી વધે,એ બધું તો નફામાં  ને ? એનો વિચાર કેમ નથી કરતા ?

            અહીં એક જૂની બાળવાર્તા યાદ આવે છે.બાળકનો દાળિયો  લાકડાની પાટ વચ્ચે તિરાડમાં ફસાયો.બાળકને સુથારને કહ્યું.સુથારે પાડી ના.બાળક રાજા પાસે ગયું..રાજાએ પાડી ના ,બાળક રાણી પાસે ગયું.ને રિસાવા કહ્યું .રાણી પાડી ના .પછી બાળકે ઉંદરને રાણીનું ચીર કાપવા,બિલાડીને ઉંદરને મારવા,કૂતરાને બિલાડીને મારવા .વગેરે વગેરે કર્યું .છેવટે ભયના ભારે આખરે બાળકને સુથારે દાળિયો કાઢી આપ્યો .પણ અહીં ભય છે જ નહિ. નથી પ્રજાહીત ,પ્રામાણિકતા માનવતા.કે  કોઈ નક્કર પરિવર્તન આવે.'વર મરો,,કન્યા મરો ,ગોરનું તરભાણું ભરો '  કહેવત એમને એમ થોડી આવી હશે.!

              એવું જ મકાનનું પણ છે.બિલ્ડર સુવિધા અને મજબૂતાઈની મોટી મોટી આકર્ષક વિજ્ઞાપનો આપે જાણે  આપણને મહેલ બાંધી દેવાના હોય.. નકશો મંજુર કરાવે. પછી બનાવે ત્યારે નકશા માં હોય  ઘણું ઘણું  ન કશામાં હોય.સોંપે સત્તર કોન્ટ્રાક્ટરને. છતનો જુદો,ગટરનો જુદો, વીજળી ફિટીંગ ,પ્લાસ્ટર ,ફ્લોર બધા જ જુદા જુદા .ને વળી ઇન્ટિરિયરના કોન્ટ્રાક્ટર પણ જુદા જુદા.એમાંય આપણા કમનસીબે બધા કોન્ટ્રાકરોના પરસ્પર સંકલનના અભાવે કાળા વાળ વખતે  નોંધાવેલું મકાન  ,વાળ અડધા ધોળા થાય ત્યારે રહેવા મળે. અને રહ્યા પછી ઉભી થતી સમસ્યાઓ માટે કોની પાસે ફરિયાદ કરવી કારણકે જા કુત્તા બિલ્લી કો માર

           મોલમાંથી ખરીદેલ વસ્તુઓનું પણ એવું જ છે. એક જ મોલમાં દરેક પ્રકારની વસ્તુ વેચાય.ખાસ તો ઇલેક્ટ્રોનિક આઇટમમાં તો ખાસ.મોટા ડિસ્કાઉન્ટની લાલચે ત્યાંથી ખરીદ કરીએ .મોટી ,લાંબી અને લાલચુ ગેરંટી અને વોરંટી  આપે.પણ તેની સર્વીશ માટે તો કોઈ બીજી જ કંપનીને કોન્ટ્રાકટ હોય.વસ્તુ બગડે તો મોલના હાથે ઉચ્ચનો કંપનીના હાથે ઉચ્ચ .આપણે લમણાં લેવાના સર્વીશ  કોન્ટ્રાક્ટર  સાથે. અધૂરામાં પૂરું આપણે સાવ ઝીણા અક્ષરે લખેલ શરતો તો વાંચતા જ નથી.

             તમે નહિ જ માનો કે  એક  લેખક મહાશય પોતે હતા ખુબ તેજસ્વી પણ ઓછા સમયમાં જલદી પસિધ્ધિ લેવા અને વ્યસ્તતા વચ્ચે એમને કોલેજના ગુજરાતી વિષયના હોશિયાર વિદ્યાર્થીને પકડી લીધા --કહોને ભાડે રાખી લીધા.આજ્ઞાંકિત વિદ્યાર્થી  રાતો જાગીને , લખી દે  લેખક મહાશય  સીધા પોતાના {?} પુસ્તકના વોમોચન વખતે પહોંચી જાય. ચાલો વધુ લખીશ તો મારે લખવા માટે ને તમારે વાંચવા માટે કોઈને કોન્ટ્રાકટ આપવો પડશે એના કરતા અહીં જ વિરમું.

           અલબત્ત અન્ય લેખ વાંચવા મારા બ્લોગ પર જવાની છૂટ છે.એકાદ પુસ્તકનું તો નામ પણ આવું જ કૈંક હોય, ' કરાર આધારિત કાર્યના નુકસાન.'

 

 

 

Saturday, July 5, 2025

ટીપે ટીપે સરોવર ખાલી થાય

                                        

                                                          ટીપે ટીપે સરોવર ખાલી થાય                          દિનેશ લ. માંકફ

            તમને એમ કે મેં, મથાળું લખવામાં ભૂલ  કરી.છે .એમ ને ? ના ભાઈ ના .કહેવાતો એ સમાજનું પ્રતિબિંબ પણ છે અને સંદેશ પણ છે..પણ કરુણ  વાસ્તવિકતા એ છે વર્તમાન સમયમાં આ કહેવાતો તદ્દન ખોટી ઠરે છે.એવી તો અનેક કહેવાતો છે પણ આજે તો એકની વાત.

        શીર્ષકમાં સરોવર છે એટલે પહેલાં પાણીને તો યાદ કરવું જ પડે.જ્યાં સુધી કુવામાંથી સીંચવાનું હતું ત્યાં સુધી પાણી માટે તંગી શબ્દ હતો જ નહિ પણ નળ આવ્યા એટલે વપરાશ વધ્યો..સારું છે કે ચકલીમાં બંધ કરવાનો વિકલ્પ છે નહીંતર તો ખેતરના કોષની જેમ માણસ ચાલુ જ રાખત.તો પણ સવારે બ્રશ કે દાઢી કરતી વેળા ચાલુ નળ તો બધા ઘરમાં સહજ ગણાય છે. કહો ટીપે ટીપે સરોવર ખાલી થાય કે નહિ ?

         .આમ તો ભૂગર્ભ જળ સ્ત્રોત જાળવી રાખવા માટે પાણી શુદ્ધિના મશીનોનો પણ મોટો ફાળો છે.RO  જેવા મશીનોમાં 70 % ક્ષારયુક્ત પાણી બહાર જાય ને સીધું ગટર વાટે ભૂગર્ભમાં. તમે  નહિ માનો પણ, .આશ્ચર્ય થાય તેવી ખાનગી વાત પણ સાચી જ છે કે. અસંખ્ય બહેનો વાળની ચિંતા કરવા વારંવાર વાળ ધોવા RO મશીનના ક્ષાર વિહીન પાણી વાપરે છે .એટલે દર વખતે ક્ષારયુક્ત પાણીનું મહા યોગદાન તેઓ પણ ભૂગર્ભજળ માટે કરે છે. અધૂરામાં પૂરું ઓછા પાણી વાળા પ્રદેશ રાજસ્થાનથી આવેલા ઘરઘાટી એટલું છુટા હાથે પાણી વાપરે કે જાણે સ્ટીલના વાસણ ચાંદીના થઇ જવાના હોય.એક શેખચલ્લીની ગણતરી અનુસાર પચાસેક વર્ષ પછી પેટ્રોલ કરતાં પીવાનું પાણી મોંઘુ હશે

          મોટાભાગની સરકારી કચેરીમાં અનેક ટ્યુબલાઈટ અને પંખા વગર કર્મચારીએ ચાલુ દેખાય .જોનાર બિચારા નાગરિકના જીવ બળે પણ કચેરીને ક્યાં જીવ કે પેટ હોય કે બળે ? સામ્યવાદમાં બધી જાહેર મિલ્કત  સરકારી કે સહકરીકરણ  વિચાર છે  તેના વિરોધમાં એક સૂત્ર ચાલતું.' સહુનું તે કોઈનું નહિ.' આ વાત હવે સર્વ સામાન્ય બની ગઈ છે. ઉર્જા બચતના ભાષણ ઠોકવા કેટલાક નેતાઓ ઓછી એવરેજ વાળી મોંઘી પેટ્રોલ ગાડીમાં દેશભરમાં ફરે એ કેટલું હાસ્યાસ્પદ લાગે! નગરપાલિકાનો  કામચોર  કર્મચારી ડ્યુટીમાંથી વહેલો ભાગવા  આખા શહેરની ધોળે દિવસે શેરી  અને રસ્તા લાઈટ વહેલી ચાલુ કરી દે અને આળસુ, રાત્રી ડ્યુટી વાળો સવારે મોડે સુધી બંધ ન કરે.'કોના બાપની  દિવાળી ?' - કહેવત કઈ એમને એમ નથી આવી.

         વીજળી ખાતું હોશિયાર છે. મુખ્ય મીટરમાં પહેલા LED લાઈટ નહોતી આવતી.જે 24*7 ચાલુ રહે જેનું બિલ આપણે ભરવાનું. એવા અનેક અનેક ઘર છે જેમાં ઘરમાં ટીવી,ફ્રીઝ ,ઇન્ટરનેટ કમ્યુટર  જેમાં એવા અનેક અનેક સાધનો માં  પણ LED  24*7 ચાલુ જ રહે.  સાવ નાની લગતી વાતનો સરવાળો કરો તો ખબર પડે કે એક એક પૈસોની બચત કરીએ વર્ષે દહાડે કેટલા રૂપિયા થાય.?  

          દીવાનખાનામાં બે પરિવાર સભ્ય બેઠા હોય ને ચાર પંખાને ને બે એ.સી.ચાલુ હોય જાણે ,અમાસની રાત્રે, વિવુંવવૃત્ત પર બેઠા હોય .અન્ય બીજા બે ખંડમાં કોઈ હોય જ  નહિ ને લાઈટ પંખા ચાલુ હોય ,એવાં ઘર પણ ઓછા  નથી  હોતાં.

       એક વાર અન્ય શહેરમાં એક પ્રતિષ્ઠિતને ઘેર રાત્રી રોકાણ હતું. એમણે  સીડી બતાવીને કહ્યું ,તમારી સુવાની વ્યવસ્થા ઉપર છે.. ઘોર અંધારામાં ઉપર ચડ્યા .સીડીના ઉપરના છેલા પગથીએ પગ મુક્યો તો આપમેળે ઝળાંહળાં ! સેન્સર મૂકેલાં  એટલે કોઈ ઉપર જાય ત્યારે જ લાઈટ થાય.પછી તો યાદ આવ્યું કે પ્રવાસ વખતે અનેક હોટેલમાં પણ આવી વીજળી બચતની સુવિધા જોયેલી.  સાચું વિચારવા જાવ તો દરેક કચેરીમાં અને ઘરમાં પણ આવા સેન્સરની જરૂર છે..

       એક સત્યઘટના-- એક મોટી શાળામાં નવા આચાર્ય નિમાયા. રિષેશમાં રાઉન્ડ મારવાની ટેવ. સોળ વર્ગના બત્રીસ પંખા પુરી વીસ મિનિટ રિષેશમાં ચાલુ રહે  .સહુ બાળકો તો મેદાન અને નક્કી કરેલી  નાસ્તાની .જગ્યાએ હોય.. .બિચારા  થાક્યા પાક્યા બેન્ચ પંખાની હવા ખાતા હતા.આચાર્યશ્રી એ બીજા દિવસે જવીજળી કારીગર બોલાવ્યો.નજીવા વાયરિંગ ફેરફાર કરીને બધા પંખાનું સ્વીચબોર્ડ ,કાર્યાલયમાં લાવી દીધું. સેવક રિશેષનો ઘંટ વગાડીને બધા વર્ગ પંખા બંધ કરે અને રીશેષ પુરી થાય કે પંખા ચાલુ.પરિણામે દર મહિને વીજળી બિલ પાંચ હજાર રૂપિયા ઓછું આવવા લાગ્યું. ને પાણીની વ્યવસ્થામાં સ્પ્રિંગવાળા નળ નખાવ્યા .તેથી બેવડો ફાયદો થયો.પાણીનો યોગ્ય વપરાશ અને  અયોગ્ય વેડફાટ  ઘટ્યો એટલે પાણી ચડાવવાની મોટર ઓછું ચાલી.વીજળી બચત. એ આચાર્ય દરેક શિક્ષક પાસે, દરેક તાસની પુરી પાંત્રીસ મિનિટ વસુલતા અને સમયને જરાય સરકવા ન દેતા.

          વર્ષો પહેલાં ની લેખક ધનસુખલાલ મહેતાની વાર્તા 'મુકૂંરાય ' યાદ આવે છે .બસ સ્ટેશનથી ઘેર લાવનાર ગાડીવાળા પાસે, ચુકવેલ ભાડાના ઉપરના રૂપિયા મુકન્દરાય જતા કરી પરત નથી લેતો,ત્યારે તેના ગરીબ પિતાને આંચકો લાગે કારણકે મુકુન્દરાયનું આ વર્તન ગાડીવાળાને ઉપયોગી થવા માટે નહિ પણ સાથે આવેલા મિત્રો પાસે પોતે પૈસાદાર દેખવામાટે જ જતા કર્યા હતા.

          જૂની પેઢીની આવક મૉટે  ભાગે પરિશ્રમ થકી આવતી .અને એટલે જ  વ્યવહારમાં ' પરસેવાની  કમાણી ' શબ્દ પ્રયોગ વધારે થતો.વ્યવસ્યાય સ્થેળ પગે કે સાયકલથી જવું કે નાની આવકમાં મોટા ઘર ચલાવવા.વગેરે. એથી એમને નાનો સરખો પણ વેડફાટ ન ગમતો. નવી પેઢી ખુબ તેજસ્વી છે.તેમની ઘણી આવક માનસિક શ્રમથી આવે છે અને કુટુંબ નાના થયાં.એટલે ઘણી વાર હાથ છુટ્ટો વધારે દેખાય. દેખાદેખી અને થોડો વિજ્ઞાપન પ્રભાવ પણ તેમના બિનજરૂરી ખર્ચમાં વધારો કરે વળી લોન અને ક્રેડિટ કાર્ડ  તેઓને અલાઉડીનના ચિરાગ જેવા લાગે.પછી ભલેને બેંકોના તોતિંગ વ્યાજ ભર્યે જાય..ઘણી વાર એમ લાગે કે આજે પણ ઋષિ ચાર્વાક  આજે પણ હાજર જ છે.

            અન્નને દેવ સમજનારા આપણે ભોજન પૂરું  કરતી વેળા થાળીને પૂર્ણ ખાલી કરીએ છીએ ખરા? વડીલો તો થાળીમાં કશું ન છોડવાનો આગ્રહ રાખતા.એક મોટી ટ્રાવેલ કંપની ઉત્તમ ભોજન માટે  પ્રવાસમાં હંમેશ પોતાનું રસોડું સાથે  રાખે છે .અગાઉથી  અન્ન બગાડ ન કરવાની પુરી સૂચના આપે.’- પણ કોઈ પ્રવાસી થોડું છોડીને ભોજન પૂરું કરે તો , પરાણે ખવરાવીને ફરજીયાત થાળી પૂર્ણ ખાલી કરાવે અથવા પેનલ્ટી ભરવા કહે. વર્તમાન સમયમાં  ઘણા પરિવારમાં સપ્તાહ અંતે બહાર જમવાની સામાન્ય ફેશન થઇ ગઈ છે.ભોજન પૂરું કરતી વેળા ટેબલ પર, ઘરના રસોડાં કરતા  ત્રણગણા ભાવ વાળા આ ભોજનમાં કેટલુંય વધેલું છોડી ઉભા થાય. હોમ ડિલિવરી વાળા ભોજનની તો વાત ન્યારી છે.આવેલું ભાવે તો નસીબ નહીંતર બાકીનું ગટરના જીવજંતુ માટેનું અન્નદાન .

            ગઈકાલે એક ભાઈ રસ્તે  મળ્યા.પૂછ્યું,' આમ તો  તમે રોજ સવારથી છેક રાત સુધી ફેસબુક,વોટ્સએપ પર સતત હાજર હો છો.પણ ઘણા સમયથી કેમ  દેખાતા નથી?.એમનો ઉત્તર ,' શું કરું ,આંગળીમાં સોજો આવ્યો .ડ્રેસિંગ કરાવ્યું છે એટલે મોબાઈલ ઓછો વાપરું છું.'   દિવાળીમાં જાહેરમાં મોટો ફટાકડો ફોડનાર, ચિનગારી ચામી પોતે ફટાકડાથી દૂર ભાગી જાય.વોટ્સએપ ,ફેસબુકનું પણ એવું જ છે.. લાખો  લોકો સવારથી સાંજ ફોરવડેડ સંદેશાઓ મૂકીને જતા રહે .પરિણામ સ્વરૂપે બીજા કરોડો લોકોનો વાંચવા-જોવા ને ડીલીટ કરવાનો સમય વેડફાય. લાંબે ગાળે એમને લીધે મોબાઈલની મેમરી ઓછી પડે ને નવો મોંઘો મોબાઈલ લેવાની ફરજ પડે.  

       .નાનાથી માંડી ને મોટા ટેલિવિઝન અને સોશિયલ મીડિયામાં કલાકો વેડફે.એની અભ્યાસ ,ઘરકામની અને કચેરીની ફરજોમાં અનેક અનેક ઘણું નુકસાન થાય એનું જયારે નુકસાન --પછી તે બાળક કે યુવાનના અભ્યાસના પરિણામનું હોય , ધંધાનું હોય કે ઘરની ફરજ નું હોય દેખાય ત્યારે પસ્તાવા સિવાય કોઈ ઉપાય હોતો નથી કેમકે વીતેલો  કોઈ વખત કદી પાછો આવતો નથી.

         ' શતં જીવેમ શરદ ' ની ભાવનાવાળા આપણે એ પણ યાદ રાખવું પડે કે સવારે ઉઠીયે  ત્યારે આપણા આયુષ્ય માંથી ગઈકાલનો એક દિવસ ઓછો થયો છે.કવિ મણિલાલ દેસાઈએ તો 'સરકી જાય પળ ' ગીતમાં પળ { સેકન્ડ } વીતી જવાની ચિંતા અભિવ્યક્ત કરી છે.

            ચાલો ,આ લખતા અક્ષરે અક્ષરે લીટીઓ ભરાય એને ક્યાંક તો રોકવી પડશે ને ? નહીંતર તમે જ કહેશો શબ્દે શબ્દે કોરું પાનું ખાલી થાય.