Readers

Monday, October 6, 2025

યાત્રા -- હારુદ્રાર -દેવી ભાગવત

                                હારુદ્રાર -દેવી ભાગવત

          જીવનમાં ક્યારેક કોઈ અનાયાસે મળી જતી તકોમાં કોઈ ઈશ્વરીય સંકેત દેખાઈ આવે. .તારીખ 6 ઠઠી સપ્ટેમ્બર થી 16 સપ્ટેમ્બર ની હરિદ્વાર -દેવી ભાગવત કથાનો લાભ  મળવો ,એ આવી જ કૈંક ઘટના હતી.એમાંય  શ્રાદ્ધ દિવસોમાં પવિત્ર ગંગાકિનારે દસ રહેવું પણ  અજબનો યોગાનુયોગ બને એ કેટલું ઉત્તમ કહેવાય !

         ગાંધીનગરના ઉમિયા સત્સંગ મંડળે ચારેક માસ અગાઉ આયોજન  .વિચાર્યું..આયોજકોમાં મુકેશભાઈ શુક્લ { સાલા }ના પરિચિત મિત્રો હતા.એટલે  એમણે પોતે તો જોડાવાનું નક્કી કર્યું સાથે અમને પણ આવવા માટે વિચારવા કહ્યું.અમે { હું અને રંજના } તરત સ્વીકારી લીધું.પછી તો ભુજથી હર્ષાબેન અને તારકભાઇ વોરા { સાલી-સાઢુ } અને વડોદરાથી સ્નેહલભાઈ અને અર્પિતાબહેન { મુકેશભાઈના સાલા દંપતી } પણ જોડાયાં .વધારે આનંદ તો એટલે હતો કે 80 સભ્યોમાં ચાલીસેક તો નાગર મિત્રો હતા.  

          જોતાંજોતાંમાં 6 સપ્ટેમ્બર પણ આવી ગઈ.ગાંધીનગરથી 'યોગ એક્ષપ્રેસ માં બપોરે 11.45 વાગ્યે પ્રયાણ.7 મી તારીખે  બપોરે  12 વાગ્યે હરિદ્વારની પુણ્યભૂમિ પર પગ મુક્યો.સપ્ત સરોવર વિસ્તારમાં ઉમિયાધામમાં રહેઠાણ વ્યવસ્થા હતી.પરેશભાઈ દેસાઈ વગેરે સ્વાગત .માટે ઉપસ્થિત હતા ઝડપી રૂમ ફાળવણી અને ભોજન પણ તૈયાર.

            ઉમિયાધામ ટ્રસ્ટ ઊંઝા દ્વારા સ્થાપિત ઉમિયાધામ  આશ્રમ હરિદ્વાર. 2015 થી કાર્યાન્વિત છે.162 રૂમ -જેમાં એ.સી.,નોન એ.સી અને ડોર્મેટરી સુવિધા ઉપલબ્ધ છે.અમારી વ્યવસ્થા એ.સી. રૂમમાં હતી.પાંચ માળ અને માં ઉમિયા ના મંદિર સાથે હરિયાળી સુંદરતા સાથે જનરેટર સુવિધા વાળા આ પરિસરમાં ભોંયતળિયે  પૂરતી બેઠક વ્યવસ્થા સાથે  વિશાળ ભોજન ખંડ ,પહેલા અને બીજા માળે એ.સી અને નોન એ.સી કથા ખંડ..બે થી પાંચ માળમાં રૂમ ત્રણ લિફ્ટ એક એ.સી. અને એક નોન એ.સી.-એવા બે વિશાળ કથા ખંડ.,દરેક માળ પર RO સાથેના કુલર.સ્વચ્છતા અને સંપૂર્ણ ધાર્મિક વાતાવરણ



           તારીખ 7 મી એ ચંદ્રગ્રહણ હોઈ સવારે જ પોથીયાત્રા પૂર્ણ થઇ ગયેલી બપોરથી  દેવી ભાગવત કથાનો પ્રારંભ થયો.વિદ્વાન વક્તા શ્રી યોગેશભાઈ શુક્લની સંગીતમય કથા ખુબ ભાવ અને રસમેય રહી..શાસ્ત્ર  અનુસાર દરેક યુગમાં માં જગદંબા એ જ સહુને શક્તિ પ્રદાન કરી છે એટલે દેવીભાગવતમા રામકથા ,કૃષ્ણઃકથા ,શિવ કથા વગેરે પણ છે.શાસ્ત્રીજી  મૂળ દેવી ભાગવતની કથા સાથે વર્તમાન જીવનમાં ઉત્તમ જીવન જીવવા શું કથા સાર લેવો તેની પણ સરસ ઉદાહરણ સાથે કહેતા રહે.સંગીત ટિમ ના સભ્યોના પણ શુદ્ધ ઉચ્ચાર સાથે સ્તોત્રગાન ,અન્ય કીર્તન પણ ખુબ જ ભાવપૂર્ણ રીતે સાથ પુરાવતા રહ્યા.



            કથામાં જીવંતપણું લાવવા કેટલાક વિશેષ પ્રસંગો ખુબ ઉત્સાહથી ઉજવાયા.પ્રારંભમાં શુકદેવ પ્રાગટ્યમાં પૂર્ણ  વેશ સાથે શુકદેવથી પ્રત્યક્ષ પધાર્યા.સતી પ્રાગટ્ય અને મહિસાસુર વધ એટલા તો ભવ્ય રહ્યા કે જાણે સાક્ષાત નવદુર્ગા જ હાજર થઇ ગયાં.બહેનોના આબેહૂબ વેશ અને હાવભાવ વાતાવરણને ભાવમય બનાવી દીધું..શિવ વિવાહ પ્રસંગે તો આખી કથાને ચાર ચાંદ લગાવી દીધા.આબેહૂબ પરિવેશ અને ડાકલાં પખાજ  સહીત શિવ સાથેના શિવગણો સાથેની જાન આગમને તો અજબ રંગ લાવી દીધો. જાનૈયાઓને આઈસ્ક્રીમ પણ પીરસાયો !  ' કન્યા પધરાવો સાવધાન '.ના મંત્ર સાથે માતા પાર્વતીનું ભવ્ય નવોઢા શણગાર સાથેનો પ્રવેશ અને પછી પૂર્ણ શાસ્ત્રોક્ત શિવવિવાહ .આ બધા સમય દરમિયાન શ્રી યોગેશભાઈ શાસ્ત્રીજી દ્વારા મૂળ કથા પઠન અને પ્રસંગ વિવેચન તો પૂર્ણ રીતે ખરાં જ .આખો પ્રસંગ એવી રીતે ઉજવાયો જાણે કોઈ સાચા લગ્ન સમારંભમાં આપણે પોતે હિસ્સેદાર હોઈએ.

        નવમાં દિવસે પુર્ણાહુતી પ્રસંગે શાસ્ત્રીજી દ્વારા દેવી ભાગવત કથાનું મૂલ્ય અને તેના શ્રવણ મનન થી માનવ જીવનને ઉત્તમ ખુબ ભાવ પૂર્ણ રીતે સમજાવવામાં આવ્યું.પ્રાયશ્ચિત હવનમાં યજ્ઞમાં આહુતિ આપી કથા પૂર્ણ થઇ.સમગ્ર કથામાં બે વાત ખુબ ઉડીને આંખે વળગી. કથા પહેલાં દરરોજ સવારે દેવી સ્થાપન ની પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિવત વિસ્તૃત પૂજા થતી.મુખ્ય યજમાન મિત્રોની ઉદારતા એટલી કે તેઓએ પ્રથમ દિવસે પોતે પૂજા કરી પણ પછીના દિવસોમાં અન્ય જેમની પણ ઈચ્છા અને અનુકૂળતા હોય તેઓ પૂજામાં  બેસીને લાભ ઉઠાવતા.

           અગાઉથી સૂચના અનુસાર પિતૃઓ ફોટા સાથે રાખવાના હતા.કથા સ્થાનમાં સમગ્ર કથા દરમિયાન તે યોગ્ય રીતે પ્રસ્થાપિત કરાયા હતા.-કથા શ્રવણ કરતા.દરરોજ તેમની ફૂલ ચોખા કંકુથી  સહુ પોતાના પિતૃઓની પૂજા પણ કરી આવે.પૂર્ણાહુતિને દિવસે પિતૃઓ પાસે મુકેલ શ્રીફળ એકઠા કરી માં ગંગામાં પધરાવાયાં. શ્રાદ્ધ પક્ષમાં આનાથી વિશેષ ક્ય શ્રષ્ઠ તર્પણ હોઈ શકે ?  .

           તારીખ 8 મી સવારે કથા વિશ્રામ હોવાથી નજીક જ આવેલાં શાંતિકુંજ ની મુલાકાત લઇ આવ્યાં.ગુરુદેવ શ્રી રામશર્માજી દ્વારા સ્થાપિત ગાયત્રી પરિવારનું આ મોટું ક્ષેત્ર છે.ગાયત્રીમાતાનું મુખ્ય મંદિર છે. ગુરુદેવ શ્રી રામશર્માજી તથા માં ભગવતીદેવી -પ્રખર પ્રજ્ઞા -સજળ શ્રધ્ધા ની પાદુકા સ્થળ ઉપરાંત દૈનિક હવન માટેની યજ્ઞશાળા ,સાધકોના ખંડ સંગીત ખંડ,સાહિત્ય અને ઔષધિઓના વિભાગો અને બીજું અનેક અનેક. વિભાગો.છે.પવિત્ર સ્થળની મુલાકાતથી ચોક્કસ મન પણ પવિત્ર થઇ જાય.



          તારીખ 9 મી એ બપોરે ઋષિકેશ તરફ પ્રયાણ..આ ભૂમિ તો અનેક મંદિરોથી છવાયેલી છે પણ વિશેષ કરીને થોડાં પ્રચલિત સ્થાનોની  મુલાકાત કરી. ઋષિકેશ એ તપોભૂમિ છે   રામઝૂલા પરથી પગે ચાલી  પવિત્ર મંદિરો તરફ પ્રયાણ કર્યું.ત્રેતા યુગમાં રામ પરિવાર અને દ્વાપર યુગમાં કૌરવ પાંડવ પરિવારે ધર્મની સ્થાપના કરી પણ તેઓ એ પણ કોઈને કોઈ કારણસર યુદ્ધ ભૂમિમાં અનેક નો નાશ કર્યો.એટલે તેનું પ્રાયચિત્ત કરવાની આ તપોભૂમિ તે ઋષિકેશ.. શત્રુઘ્ન મંદિર કદાચ અહીં માત્ર જ છે. પાસે બદ્રી વિશાલ પણ છે.જ્યાંથી ચારધામ યાત્રા શરુ થાય છે.આગળ કાલી કામલીવાલા બાબા નો ભારતનો સૌથી મોટો આશ્રમ છે.આ આશ્રમનું સંચાલન બિરલા પરિવાર કરે છે.પાંડવ દ્વારા સ્થાપિત શાલિગ્રામ શિવલિંગના દર્શન કર્યા .અહીંથી પાંડવો એ હિમાલય યાત્રા શરુ કરી હતી.વિશાળ ગીતાભવન  પરિસર  ચારે બાજુ મોટા અક્ષરે  ગીતાજીના તમામ શ્લોકોથી ભરચક છે. પરમાર્થ નિકેતન આશ્રમ 1942 માં સ્વામી સુખાનંદજી મહારાજ  દ્વારા  સ્થાપેલો આ આશ્રમ તે સમયે દેશનો સૌથી મોરો આશ્રમ હતો .અત્યારે યોગ,ધ્યાન અને આધ્યાત્મિક ચેતનાનું વિશ્વ પ્રચલિત સ્થાન ગણાય છે.હવે અહીં  દક્ષિણ ભારતનો પ્રભાવ વિશેષ જોવા મળે છે.વર્ષમાં તહેવારો અનુસાર અલગ અલગ શિબિરો અહીં થાય છે.તે સમયે રહેવાની સુવિધાના ખંડ પણ છે. સીતા ઝૂલાથી પગે ચાલીને  વાહન તરફ .હવે

         ગંગા આરતી માટે ત્રિવેણી ઘાટ  પહોંચ્યા. સ્વાર્થતા અને બેસવાની ખુબ જ સારી વ્યવસ્થા ઉડીને આંખે વળગે તેવી. વિશાળ ઘાટ પર દસ થી વધારે આરતી સ્થળ.શુદ્ધ ઉચ્ચારો સાથે શ્લોક અને આરતી ગાન,સાથે પ્રથમ ધૂપ આરતી અને પછી દીપ આરતી .ખુબ ભવ્ય વાતાવરણ.


            


તારીખ 10 કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાયો.આખો દિવસ કથા શ્રવણમાં જ ભરચક રહ્યો. રાત્રે હરકી પેડીની ઊડતી મુલાકાત લીધી.તારીખ 11મી એ ' બ્રહ્મ વર્ચસઃ અનુસંધાન  સંસ્થાનની મુલાકાત લીધી.પૂજ્ય શ્રી રામ શર્માજીના માર્ગદર્શનમાં ડો. પ્રણવ પંડ્યા અને સાથે હવે ડો.ચિંતન પંડ્યા દ્વારા ગાયત્રી મંત્ર અને વેદ મંત્રો પરની શરીર અને આરોગ્ય પર થતી દૈવિક અસરો પર અહીં સંશોધન થાય છે.ગાયત્રી મંત્રના ઉચ્ચારણથી શરીરના ક્યાં ચક્ર ને કેવી ગતિશીલતા મળે છે તેનું જીવંત અનુભૂતિ કરાવતું ઉપકરણ પણ છે.પરિસરમાં 24 શક્તિની પ્રતિમા તેના મંત્ર અને તેમના યંત્ર પણ અદભુત છે.નાનું સાહિત્ય કેન્દ્ર અને સાધનાખંડો પણ અહીં છે. બપોરની કથામાં મહિસાસુર મર્દિની પ્રસંગ ઉજવાયો.


           તારીખ 12 મી કનખલ અને હરિદ્વારના વિશેષ સ્થળો તરફ પ્રયાણ.કનખલમાં દક્ષેશ્વર મહાદેવ ,સતી કુંડ ,પરદેશ્વર નું પારા નું શિવલિંગ જોવા લાયક છે .પરમહંસ યોગાનંદના ગુરુ લહેરી મહાશયના સમાધિ સ્થળ અને ધ્યાન ખડની મુલકાતમાં પણ વિશેષ અનુભૂતિ અનુભવાય..  તારીખ 13 મી એ સવારે કચ્છી આશ્રમ નજીક પરમાર્થ આશારામ પાસે ગંગા સ્નાનનો લાભ લીધો.13 મી એ શિવવિવાહમાં જોડાયાં.

           તારીખ 14 મી એ ભારતમાતા મંદિરની મુલાકાત . 1983 માં સ્વામી સત્યમિત્રાનંદજી દ્વારા સ્થાપિત સાત માળના મંદિરમાં કોઈ મૂર્તિ નહિ પણ આરસપહાણ થી કોતરેલ માં ભારત નો નકશો છે. ઉપરના માળે સીડી ઉપરાંત લિફ્ટની પણ સુવિધા છે.દરેક માળ પર વિશાળ મંદિર છે.  દરેક  માળ પર ભારતની પ્રાચીન આધ્યાત્મિકતાના દર્શન થાય છે.ભોંય તળિયે ભારતમાતા ,પ્રથમ માળ પર વિષ્ણુ મંદિરમાં દરેક અવતાર -દેવતાની પ્રતિમાઓ છે.પછીના એક એક  માળે ઋષિઓ ,દેવીઓ,પ્રખર  ભક્તો,શુરવીરો ,વીરાંગના વગેરે ની ભવ્ય પ્રતિમાઓ અને તેમની વિગતો.ભારતમાતા મંદિરના દર્શન કરીને નાના બાળ થી માંડીને મોટા સહુને અવશ્ય દેશ ગૌરવ પેદા થાય.



          15 સપ્ટેમ્બર કથાના ઉપસંહાર અને  પ્રાયશ્ચિત્ત હવન ,ભોજન કરીને સહુએ પોતપોતાની રીતે રેલવે સ્ટેશન તરફ પ્રયાણ અમે પણ હરિદ્વાર -સાબરમતી -યોગ એક્ષપ્રેસમાં બેસી 16 મીએ બપોરે સ્વગૃહે અમદાવાદ પહોંચ્યા.સમગ્ર પ્રવાસ ખુબ સુખદાયક રહ્યો. સમગ્ર આયોજનમાં ઉમિયા  સત્સંગ મંડળ ગાંધીનગર અને પરેશભાઈ  દેસાઈ ,બાબુભાઇ પટેલ ની સાથે જયંતભાઈ બુચ ,મયુરભાઈ બક્ષી અને બીજા અનેક નિસ્વાર્થ સેવાભાવી મિત્રોએ ખુબ જહેમત ઉઠાવી તે ભુલાય તેવી નથી.ખુબ સુંદર આયોજનને લીધે આવો ઉત્તમ લાભ મળ્યો માટે નો બધો યશ ટીમને જાય છે.તેમને ખુબ ખુબ અભિનંદન અને ભવિષ્યમાં આવાં સુંદર આયોજનો માટે ખુબ ખુબ શુભકામના

          કથા દરમિયાન પારિવારિક ખુશી  ની એક વાત  કહ્યા વિના રહેવાતું નથી.શાસ્ત્રીજી દ્વારા કથાને રસપ્રદ અને આનંદમય  બનાવવા માટે પ્રસંગો ઉજવાયા.તેમાં પ્રારંભમાં શુકદેવજી પ્રાગટ્યનો પ્રસંગ આવ્યો.વર્ણન દરમિયાન ઓચિંતા સાક્ષાત શુકદેવજી પધાર્યા.બારીકાઈ નિરીક્ષણ કર્યું તો મુકેશભાઈ {સાળા } નીકળ્યા.{ યાદ આવ્યું કે તેઓ લાંબા સમયથી ગુમ કેમ હતા!}  પછી એક દિવસ કૃષ્ણજન્મોત્સવ આવ્યો.લ્યો ,આ તો મુકેશભાઈ જ વાસુદેવ બની આવ્યા! અન્ય દિવસે શિવ વિવાહ હતા.આ વખતે પરિવાર વચ્ચે પેપર વહેલું ફૂટી ગયેલું. હર્ષાબેન { સાળી } એ શિવજીનો આબેહૂબ પરિવેશ ધારણ કર્યો.અને માધવીબેન { મુકેશભાઈ ના સહધર્મચારિણી } માતા પાર્વતી બન્યા. રંજના લુણગૌરી અને મોસાળું લાવનાર અને હું અને સ્નેહલભાઈ { મુકેશભાઈના સાલા }  બિહામણા મહોરાં પહેરીને શિવગણ બની  જાન માં જોડાયા.પ્રસંગ એવી રીતે માણ્યો કે જાણે ઘરનો પ્રસંગ હોય.


Wednesday, July 16, 2025

ઉતારો શીશે

                                             

                                                          ઉતારો શીશે                                           દિનેશ લ. માંકડ

          અંતરિયાળ ગામના બાબુ માસ્તરને અડધી રાતે છાતીમાં દુખાવો ઉપડ્યો  .ઘરના બધાં અને ગામ આખું ચિંતામાં પડ્ય .કાળું ડ્રાઈવર પોતાની ટેક્ષી લાવ્યો.ને દોડ્યા શહેર તરફ .સ્ટાફના કોઈ જાણીતા ફેમિલી ડોક્ટર પાસે પહોંચ્યા. ડોક્ટરે તપાસ્યા. જરૂરી લેબોરેટરી ટેસ્ટ અને કાર્ડિયોગ્રામ કરાવ્યા.ને બોલ્યા ,' બિલકુલ ચિંતા ન કરશો.તમારા બાબુ માસ્તરને કશું નથી..અતિશય વાયુ પ્રકોપ જ છે.' માસ્તરને યાદ આવ્યું. ગામના લગ્નોના નિમત્રંણમાં ચાર દિવસથી ચાર વાર વટાણા બટાકાના શાક ખાધે રાખ્યા.એનું પરિણામ છે.હસતે મોઢે બધા ગામ પાછા ફર્યા.

           એક વિચારક હંમેશ કહેતા  કે ડોક્ટર  તો ભગવાનનો બીજો અવતાર છે.અનેક અનેકને મોતના મુખમાં થી બચાવે કે મોટી પીડામાંથી રાહત અપાવે. અને વાત સાચી પણ છે .જ્યાં સુધી ડોક્ટર ,ડોક કટર ન બને ત્યાં સુધી.

          નવમા ધોરણમાં અભ્યાસ કરતી શીલા સાયકલથી શાળાએ જતી.એક દિવસ ઉતાવળમાં અચાનક સાયકલ પરથી સહેજ પડી ને પગ મચકોડાયો.ડોક્ટર પાસે ગયા.એક્ષરે પાડ્યો. જોઈને ડોક્ટર બોલ્યા ,'એમના તો સ્નાયુ ફાટી ગયા છે.અમદાવાદ જવું પડશે. અમદાવાદના જાણીતા  ડોક્ટરનું નામ આપ્યું. ચિંતામાં પડેલો પરિવાર તરત જ  એ તરફ.અમદાવાદના ડોક્ટરે એક્ષરે જોઈને કહ્યું ,'આ એક્ષરે નહિ  ચાલે. .નવા એક્ષરે અને જરૂરી બીજા રિપોર્ટ તો તમારે કરવવાજ પડશે. નીચે અમારી ગાડી ઉભી છે .તેમાં જાવને ખુબ જાણીતી હોસ્પિટલમાં આ રિપોટ્ર્સ થઇ શકશે.અને તો જ સારી ટ્રીટમેન્ટ થશે જરૂર પડે મોટું ઓપરેશન પણ કરવું પડશે..નહીંતર કાયમી ખોટ રહી જશે.' દીકરીના પિતાની ચિંતામાં વધારો થયો.

          અનાયસે તેમના અમદાવાદમાં રહેતા તેમના સ્નેહી તેમને મળવા ત્યાં આવ્યા.પિતાએ તેમને વિગત સમજાવી.સ્નેહીએ એક નાની સલાહ આપી ' જુઓ તમને વાંધો ન હોય તો મારો પાડોશી ફિઝિયોથેરપિસ્ટ સામે જ સરકારી હોસ્પિટલમાં છે .તેમને જરાક મળી લેશું ? ગયા.અને સ્નેહીનાં પરિચિત ડોક્ટરે, પોતાના સિનિયર ઓરથીપેડીકને એક્ષરે બતાવીને મત લીધો અને પછી દીકરીના પિતાને જણાવ્યું કે ,' કશું ચિંતાજનક નથી.સહેજ  નસ એક બીજા પર ચડી છે.હું એક બે કસરત બતાવું છું .એકાદ અઠવાડિયું કરશો એટલે મટી જશે.' પિતાએ હાશકારો અનુભવ્યો ને ખોટી વાઢકાપ અને લખો રૂપિયાના ખર્ચ માંથી બચવા માટે પ્રભુનો આભાર માન્યો અલબત્ત દૂર શહેરમાંથી અમદાવાદ મોકલનાર બિચારા ડોક્ટરનું કમિશન ન પાક્યું !

            સમયની સાથે તબીબી વિજ્ઞાનની શોધ માણસને ખુબ આશીર્વાદ રૂપ છે.તબીબોમાં પણ ચોક્કસ રોગ માટેનુ નિષ્ણાતપણું વધ્યું છે .એક જ સ્થળે તમામ ઉત્તમ સુવીધા આપતી  સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ વધી છે.એટલે ગંભીર રોગોમાં પણ ઉત્તમ સારવાર મળે છે. યોગ્ય નિદાન થાય.યોગ્ય સારવાર થાય.એ સારી વાત છે.

            પણ કેટલીયે વાર દર્દી ખોટી રીતે દંડાય ત્યારે ખુબ દુઃખ થાય.એમાંય ઘણીવાર તો સરકારી યોજનાઓ અને મેડિક્લેઈમની ખબર પડે તો તો ડોક્ટર સહેમ ઈલાજ માટે મન મૂકીને વરસી પડે.કેટલાએ દવાના ઓવરડોઝ જાય ને શરીરને ગંભીર આડઅસર પણ થાય પણ એમને શી ચિંતા?  પ્રયોગ તો આખરે દર્દીના શરીર પર અને તેના જોખમે કરવાનો છે ને ? ક્યાં ડોક્ટર પોતાના શરીર પર કરવાના છે ? એક નિકટના સગાને 65 વર્ષની વયે કેન્સરનું નિદાન થયું.એક બે ઓપરેશન થયાં.દોઢ -બે વર્ષ થી વધારે સમય  કિમોથેરપીના ડોઝ ગયા.ખોરાક ઘટ્યો ,રોગ પ્રતીકારકતા ઘટી.અન્ય સમસ્યાઓ વધી.ખુબ લાંબા સમય પછી ડોકરે તેમના દીકરાને કહ્યું આ તો  કદી નહિ મટવા પ્રકારનું કેન્સર છે. દીકરાને ડોક્ટરને પૂછવાનું મન થયું કે ,' સાહેબ આપણા માતુશ્રીને જો આ પ્રકારનું કેન્સર  હોત  તો પણ તમે આ જ સારવાર કરી હોત ?'-

           એકવાર એકે  હોસ્પિટલમાં જવાનું થયું. ડોક્ટર પાસે  મોટી દવા કંપનીના એક M .R . બેઠા હતા.એટલે બહાર બેસવાનું થયું.દરવાજો અડધો ખુલો હતો એટલે સંવાદ સંભળાતો હતો..- M .R  સાહેબ,-“ આ વખતે ક્યાં જશો ,કેરાલા કે ઉટી ? તમારા કુટુંબ સભ્યો અને તારીખ જણાવો એટલે ટિકિટ મોકલાવું.'' ડોકટરે વિગત આપી. ફરી M .R   એ કહ્યું ,' સાહેબ ,અમારા સેલ્સ મેનેજરે કહ્યું છે કે જો આપનું અમારી દવાનું પ્રિસ્ક્રિશન આ વખત કરતા ડબ્બલ થશે તો આવતા વર્ષે આપને  વિદેશ ટુર ગોઠવી આપશું.'  દરવાજામાંથી દેખાતું હતું કે બગર મિષ્ઠાને ડોક્ટરના મોઢામાં આવેલું પાણી તેઓ રૂમાલથી લૂછી રહ્યા હતા.

        " અહીં ફી આપવી ફરજીયાત નથી."- શું કોઈ દવાખાનાની બહાર આવાં બોર્ડની કલ્પના કરી શકો છો ?- પણ હકીકત બિલકુલ સાચી છે.વડનગરના સેવાભાવી ડોક્ટર વસંતભાઈ પરીખએ આ બોર્ડ પોતાના દવાખાનાની બહાર લગાડેલું.વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક દર્દીઓની સેવા કરનાર એટલા તો લોકપ્રિય બનેલા કે લોકાગ્રહથી ગુજરાત વિધાનસભાના સદસ્ય અપક્ષ  તરીકે ઉમેદવારી નોંધાવી અને લઘુત્તમ ચૂંટણી ખર્ચથી જીતીને પાંચ વર્ષ રાજ્યની સેવામાં રહ્યા.એવા જ કચ્છ માંડવીના જાણીતા લેખક અને ડોક્ટર જયંત ખત્રી પણ ગરીબ દર્દી આવે તો નિઃશુલ્ક સેવા તો આપે જ પણ સામેથી પોતાના ખિસ્સામાંથી  ફળો લેવાના પૈસા આપતા.

            એક સારા ડોક્ટર સમાજને મળવા એ મોટી વાત છે.કોઈ માતા પિતા તેમના પુત્રને ડોક્ટર બનાવવાનો સંકલ્પ કરે ,ત્યાંથી તેની શરૂઆત થાય.ધોરણ બાર અને નીટ જેવી સ્પધાત્મક પરીક્ષામાં ખુબ ઉંચુ મેરીટ લેવા માટેની રાતદિવસની સખત મહેનત .સારી મેડિકલ કોલેજની પસંદગી અને મોંઘીદાટ ફી અને હોસ્ટેલ ખર્ચ.પછી અનુસ્નાતક થવા માટેની એવી જ  પ્રક્રિયા અને આગળ ઈચ્છા હોય તો એથી વધારે નિષ્ણાત થવાની વિશેષ ડિગ્રીની મથામણ .વાત અહીં પુરી નથી થતી.સરકારી કે અન્ય હોસ્પિટલમાં જોડાવાય તતો ઠીક નહીંતર પોતાની હોસ્પિટલ કરવાનો,મોંઘાદાટ સાધનો વસાવવાનો ને સ્પર્ધામાં ટકવાનો  લાંબો સંઘર્ષ તો ખરો જ .એટલે ડોક્ટર ઉંચી ફી લે કે તેમનો સારવાર ખર્ચ વધારે આવે તો તેમને વગોવવા કે ટીકા કરવી જરાય ઉચિત નથી

           પણ  તમામ ડોકટર સાહેબોને કહીએ કે સેવા અને માનવતા પ્રિય આ વ્યવસાયમાં આપ જોડાયા છો તો ઈશ્વર ઉપરાંત સાજા કરેલા દર્દીના આશીર્વાદને આપને મળશે જ.પણ એટલું જરા ધ્યાન રાખજો કે ઓપરેશનમાં તો જે કાતર વાપરતા હો તે, પણ દર્દીના ખિસ્સાપર મોટી કાતર ન ફેરવશો.

 

Saturday, July 12, 2025

જા કુત્તા બિલ્લીકો માર

                                          

                                                   જા  કુત્તા બિલ્લીકો માર                                                   દિનેશ લ. માંકડ

           અકબર બીરબલના નામે ચાલતી એક વાત યાદ આવે છે .એક વાર અકબરે બીરબલને પૂછ્યું કે ,'આપણા રાજ્યમાં પ્રામાણિક લોકો કેટલા ? '' બીરબલે ઉત્તર આપ્યો,' કદાચ કોઈ નહિ .' અકબરને લાગી આવ્યું.' એવું કદી ન હોય.' બીરબલ ઉવાચઃ .' કરી લો ખાતરી .' બીજે દિવસે ફરમાન છૂટ્યું.- ' આજ રાત્રી દરમિયાન દરેક પ્રજાજને  મહેલની પાછળ આવેલ ખાલી  હોજમાં એક એક  લોટો દૂધ નાખી જવું.'  સવારે અકબરે આવીને જોયું તો આખો હોજ પાણીથી ભરેલો..દરેક પ્રજાજને વિચાર્યું કે ' બીજા દૂધ નાખશે તો મારા એક પાણી ના લોટાથી શું ફરક પડશે ?' 

           સમસ્યા હવે શરુ થાય છે. એ પ્રજાજનોએ જયારે પુનર્જન્મ લીધો ત્યારે એ બધા લોકો કોન્ટ્રાકટર બન્યા.અને અપ્રમાણિકતા તો એમના આગલા જનમના કરમમાં તો હતી. અને બધા ક્ષેત્રોમાં વહેંચાઈ ગયા.એટલે નાગરિકો દૂધ માંગે ત્યાં પાણી હાજર થાય. સવારે વર્તમાનપત્રમાં દેશ વિદેશ કે રાજ્ય શહેરના સમાચારોને પ્રાધાન્ય હતું  .પણ હવે ભ્રસ્ટાચારના અનેક અનેક સમાચારમાં જ પાના ભરાઈ જાય છે..

          અગાઉ મોટા રોડ કે ડેમ બંધાય તે એટલા  મજબૂત  હોય લોકો તેના પર દેખરેખ રાખનાર અધિકારીને વર્ષો સુધી યાદ રાખતા. સાવ નાના ગામ ચંદીયાના વિશ્રામ કર મણે 147 અગાઉ બાંધેલો પુલ કચ્છ માંડવીમાં આજે પણ ઉભો છે.પણ આજે તો  રસ્તા, પુલ  કે ડેમ બાંધવાના શરુ થાય બીજે દિવસે જ તૂટવાના શરુ થાય અકસ્માતમાં મરી ગયેલા સ્મશાને, ઘાયલ ઈલાજ  કરાવવા દવાખાને જાય..તપાસ શરુ થાય.મુખ્ય અધિકારી, કોન્ટ્રાકટરને પૂછે.,.કોન્ટ્રાકટર તેના પેટા અને પેટા એના પેટા કોન્ટ્રાક્ટરને પૂછે. ખાસ તપાસ સમિતિ SIT નીમાય. સિમેન્ટના નમૂના પ્રયોગશાળા માં મુકાય ડામર બનાવનાર કંપનીના રિપોર્ટ મંગાવાય.હેવાય તૈયાર થાય ત્યાં સુધી પ્રજા ભૂલી જાય .મુખ્ય અધિકારી બદલાઈ જાય ને એ જ કોન્ટ્રાક્ટરનું  એ જ ડેમ ,રસ્તા.બનાવવાનું ટેન્ડર મંજુર થાય.

            જે લોકો આ ઘટનાની ટીકા કરે એમણે વિચારવું જોઈએ કે વર્ષો સુધી  જુના બ્રિજ પર ચાલવું એના કરતાં એ જ જગ્યાએ દર વર્ષે નવા નવા બ્રિજ પર ચાલવું  એ શું ઓછી ખુશી છે ? આમે ય મોટા ભાગના લોકોના  અને વાહનોના અકસ્માતના વીમા તો હોય છે.અકસ્માત ન કરીએ તો વીમા કંપનીઓ પાસે પૈસા વધી પડે  કારણકે આપણે વર્ષો વર્ષ તગડા પ્રીમિયમ ભરીએ છીએ તો વીમો પકાવવાનો આપણો અબાધિત હક્ક છે એટલે કોન્ટ્રાકટર કે અધિકારીની ટીકા કરવાને બદલે તેમનો આભાર માનવો જોઈએ કે  એમણે ભરેલ પ્રીમિયમ વસૂલવાના સહાય કરી વળી વારંવાર બ્રિજ ,રસ્તા બને તો અનેક લોકોને રોજગારી મળે .સિમેન્ટ ,લોખંડ કંપનીના ઉત્પાદન વધે ત્યાં પણ રોજગારી વધે,એ બધું તો નફામાં  ને ? એનો વિચાર કેમ નથી કરતા ?

            અહીં એક જૂની બાળવાર્તા યાદ આવે છે.બાળકનો દાળિયો  લાકડાની પાટ વચ્ચે તિરાડમાં ફસાયો.બાળકને સુથારને કહ્યું.સુથારે પાડી ના.બાળક રાજા પાસે ગયું..રાજાએ પાડી ના ,બાળક રાણી પાસે ગયું.ને રિસાવા કહ્યું .રાણી પાડી ના .પછી બાળકે ઉંદરને રાણીનું ચીર કાપવા,બિલાડીને ઉંદરને મારવા,કૂતરાને બિલાડીને મારવા .વગેરે વગેરે કર્યું .છેવટે ભયના ભારે આખરે બાળકને સુથારે દાળિયો કાઢી આપ્યો .પણ અહીં ભય છે જ નહિ. નથી પ્રજાહીત ,પ્રામાણિકતા માનવતા.કે  કોઈ નક્કર પરિવર્તન આવે.'વર મરો,,કન્યા મરો ,ગોરનું તરભાણું ભરો '  કહેવત એમને એમ થોડી આવી હશે.!

              એવું જ મકાનનું પણ છે.બિલ્ડર સુવિધા અને મજબૂતાઈની મોટી મોટી આકર્ષક વિજ્ઞાપનો આપે જાણે  આપણને મહેલ બાંધી દેવાના હોય.. નકશો મંજુર કરાવે. પછી બનાવે ત્યારે નકશા માં હોય  ઘણું ઘણું  ન કશામાં હોય.સોંપે સત્તર કોન્ટ્રાક્ટરને. છતનો જુદો,ગટરનો જુદો, વીજળી ફિટીંગ ,પ્લાસ્ટર ,ફ્લોર બધા જ જુદા જુદા .ને વળી ઇન્ટિરિયરના કોન્ટ્રાક્ટર પણ જુદા જુદા.એમાંય આપણા કમનસીબે બધા કોન્ટ્રાકરોના પરસ્પર સંકલનના અભાવે કાળા વાળ વખતે  નોંધાવેલું મકાન  ,વાળ અડધા ધોળા થાય ત્યારે રહેવા મળે. અને રહ્યા પછી ઉભી થતી સમસ્યાઓ માટે કોની પાસે ફરિયાદ કરવી કારણકે જા કુત્તા બિલ્લી કો માર

           મોલમાંથી ખરીદેલ વસ્તુઓનું પણ એવું જ છે. એક જ મોલમાં દરેક પ્રકારની વસ્તુ વેચાય.ખાસ તો ઇલેક્ટ્રોનિક આઇટમમાં તો ખાસ.મોટા ડિસ્કાઉન્ટની લાલચે ત્યાંથી ખરીદ કરીએ .મોટી ,લાંબી અને લાલચુ ગેરંટી અને વોરંટી  આપે.પણ તેની સર્વીશ માટે તો કોઈ બીજી જ કંપનીને કોન્ટ્રાકટ હોય.વસ્તુ બગડે તો મોલના હાથે ઉચ્ચનો કંપનીના હાથે ઉચ્ચ .આપણે લમણાં લેવાના સર્વીશ  કોન્ટ્રાક્ટર  સાથે. અધૂરામાં પૂરું આપણે સાવ ઝીણા અક્ષરે લખેલ શરતો તો વાંચતા જ નથી.

             તમે નહિ જ માનો કે  એક  લેખક મહાશય પોતે હતા ખુબ તેજસ્વી પણ ઓછા સમયમાં જલદી પસિધ્ધિ લેવા અને વ્યસ્તતા વચ્ચે એમને કોલેજના ગુજરાતી વિષયના હોશિયાર વિદ્યાર્થીને પકડી લીધા --કહોને ભાડે રાખી લીધા.આજ્ઞાંકિત વિદ્યાર્થી  રાતો જાગીને , લખી દે  લેખક મહાશય  સીધા પોતાના {?} પુસ્તકના વોમોચન વખતે પહોંચી જાય. ચાલો વધુ લખીશ તો મારે લખવા માટે ને તમારે વાંચવા માટે કોઈને કોન્ટ્રાકટ આપવો પડશે એના કરતા અહીં જ વિરમું.

           અલબત્ત અન્ય લેખ વાંચવા મારા બ્લોગ પર જવાની છૂટ છે.એકાદ પુસ્તકનું તો નામ પણ આવું જ કૈંક હોય, ' કરાર આધારિત કાર્યના નુકસાન.'