Readers

Sunday, June 29, 2025

સેલ સેલ ,ખિસ્સા ખાલી કરવાનો ખેલ

 


                          

                                   સેલ સેલ ,ખિસ્સા ખાલી કરવાનો ખેલ                                     દિનેશ લ. માંકડ

           લોકેન્દ્ર એ રોજની ટેવ મુજબ ઉઠીને વર્તમાનપત્ર ઉપાડ્યું.પહેલાં જ પાને  વાંચ્યું ,' સેલ...સેલ...જીન્સ પેન્ટ 95 % ડિસ્કાઉન્ટ .ઓફર માત્ર બપોરે એક સુધી .'- 95 %  ડિસ્કાઉન્ટ ? લોકેન્દ્રને નવાઈ  તો લાગી પણ મન ડળક્યુ .વગર ચા પીધે પેન્ટ પહેર્યા વગર { અલબત્ત રાત્રી બરમુડો પહેરેલો }  ભાગ્યો  મોલમાં .જઈને જોયું તો દુકાન પર લાંબી લાઈન . એને લાગ્યું કે એનો નંબર કદાચ એક વાગ્યા સુધી આવશે કે કેમ ? પણ છતાં તે લાઈનમાં તો ઉભો જ.95 % ડીકાઉન્ટ કોને કહેવાય !  વગર ચા એ ભૂખ્યો -તરસ્યો  કલાકો ઉભો રહ્યો.સદનસીબે બાર વાગ્યે નંબર લાગ્યો. તેણે એક ગમતું જીન્સ પસંદ કર્યું. કિંમત વાંચી.'રૂ. 1000/ - ખિસ્સામાંથી 50 રૂપિયા કાઢીને પૈસા ચૂકવવા કાઉન્ટર પર ગયો.' સાહેબ ,બીજાં બે પેન્ટ ક્યાં?'  પ્રશ્ન સાંભળી લોકેન્દ્ર ચોંક્યો ,' કેમ ,મેં તો એક જ લીધું છે.' કાઉન્ટરનો કાઉન્ટર જવાબ ,' સાહેબ તમે પસંદ કરતી વખતે સૂચના વાંચી નથી લાગતી - આ ડિસ્કાઉન્ટ તો અલગ અલગ સાઈઝની ત્રણ પેન્ટ લેનાર માટે છે.સોરી.' - ' પણ ઘરમાં પુરુષ હું એકલો જ છું ને કબાટમાં 10 પેન્ટ તો છે ને જીન્સ તો ક્યારેક જ પહેરું છું.' જવાબની રાહ જોયા વગર ને પેન્ટ લીધા  વગર, ઓફિસમાં અડધી સી.એલ. ગુમાવી તેનો અફસોસ કરતો લોકેન્દ્ર ઘેર પહોંચ્યો.

          { વચ્ચેથી વિશેષ નોંધ - લેખ લાંબો છે એટલે આખો વાંચવાની  ખાસ સેલ ઑફર લેખની નીચે મૂકી છે .}

           બુદ્ધિશાળી બજાર ,બુદ્ધિશાળી કહેવાતા માણસનું મનનું મનોવિજ્ઞાન સમજી ગયું છે.વેચાણ વધારવું.પોતાની વસ્તુ વેચવી અને એને માટે વિજ્ઞાપન કરવી એ ખોટું પણ નથી. વેપારનું  સાદુ ગણિત છે કે નાનો કે મોટો કોઈ પણ વેપારી સામાન્ય સંજોગોમાં ખોટ ખાઈને ધંધો ન કરે.અરે નહિ નફો નુકસાનથી પણ શા માટે વેચે? ધંધો કરવા બેઠો છે તે નફો તો રાખશે જ ને ? તો પછી એ મોટા  ડિસ્કાઉન્ટ  આપીને પણ નફો કરતો હશે ? કદી શાંતિથી વિચાર કર્યો છે ખરો ?

             એક નજીકના સગા, ફરતા સેલ વાળા સ્ટોરમાં નોકરીએ જોડાયા.થોડા અનુભવ પછી તેમને સેલનું રહસ્ય પૂછયું.તો કહે ,અમે ચાર સારાં સાથે,  આઠ હલકાં નમૂના મૂકી દઈએ.અને જાણીતી બ્રાન્ડના ડુપ્લીકેટ સ્ટીકર નો તો ઢગલો અંદર હાજર જ હોય.તો જ ધંધો પોસાય ને. અને કદાચને ફરિયાદ આવે ત્યાં સુધીમાં તો અમે તે સ્થળે  હોઈએ જ નહિ ને '.ઘણા વખત પહેલાં ખુબ જાણીતા મોલના ગોડાઉનનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો હતો.બે ચાર કારીગર વ્હાઈનરથી એક્ષપાયર તારીખ અને કિંમત ભૂંસતા હતા ને બીજા કારીગર પ્રિન્ટિંગ મશીનથી નવી કિંમત છાપતા હતા  એકવાર મોલમાં અનાજ વિભાગમાં શીંગતેલ ના પાંચ લિટરના પેકીંગ પર 20 % વળતર વાંચીને મન લલચાયું.છાપેલી કિંમત રૂ .800/- હતી.મનમાં ગણતરી કરી  રૂ.680/-માં પડશે. સાથે આવેલ સજાગ મિત્રએ ધ્યાન દોર્યું ,' બજારમાં નવું શીંગતેલ આવ્યું છે ને છૂટક વેપારી તો આ જ બ્રાન્ડનું આ પેકીંગ રૂ.600/- માં વેચે છે.' થયું હાશ બચી ગયો. આવું તો અનેક અનેક બાબતમાં હોય છે.પણ મૂરખ બનવાની ટેવ વાળા ઊંડા ઉત્તરે તો ને

            ઘણા સમય પહેલાં એક ગુજરાતી ચલચિત્રમાં એક કચ્છી ગીત હતું 'એ વલો પ્યારજો પખો, હેકડે { એક } રુપિયેમે વલો પ્યાર જો પખો ' એક ગ્રાહકે હાથપંખો ખરીદ્યો .પંખા પર લખેલું 'એક વર્ષની ગેરંટી.' ગ્રાહક ઘેર લઇ ગયા.બે ચાર વખત ફેરવ્યો ને પખો તૂટી ગયો..ગ્રાહક  ફેરિયા પાસ ગયો.અને ફરિયાદ કરી.. ફેરિયાએ ગેરંટીની નીચેનું સાવ ઝીણા અક્ષરે લખેલું ,વાંચવા કહ્યું .લખ્યું હતું,' હવા ખાવા માટે,પંખો સ્થિર રાખી ને મોઢું હલાવવું .' આજની મોટાભાગની ખરીદીમાં પણ ગેરંટી -વોરંટીમાં પણ આવી છદ્મવેશી શરતો હોય છે.

           એક હાસ્ય કલાકાર એ કહેલી રમૂજ યાદ આવે છે. ખુબ વ્યસ્ત પતિએ પોતે બહારગામ હોઈ ,પોતાની 35 વર્ષીય સહધર્મચારિણીને  લગ્નતિથિની  શુભેચ્છા પાઠવવા ફુલવાળાને 25  ફૂલોવાળો પુષ્પગુચ્છ,પત્નીને ઘેર પહોંચાડવા ઓનલાઇન સૂચના આપી.સાથે એક શુભેચ્છા સંદેશ પણ મુક્યો,' 25 ફૂલો જોઈ  નવાઈ ન પામીશ .ભલે 35 ની હોય પણ  તું જેટલી વયની દેખાય છે  તેટલાં ફૂલો મુક્યા છે.'  બન્યું એવું કે ફુલવાળાને ત્યાં એક સાથે એક ફ્રી ની સ્કીમ ચાલતી હતી! - પછી શું થયું હશે તેની કલ્પના તમારે કરી લેવાની.

             સેલ ના નામે ઘરમાં કેટલીય વસ્તુ ઓવર સ્ટોક થતી આવે.જાન્યુઆરીમાં ખરીદેલા બાર મહિનાના નહાવા સાબુની ડિસેમ્બરમાં શરીર પરની આડઅસરની વાત તો બાજુએ રહી પણ સુગંધ જ ઉડી ગઈ હોય. બાથરૂમમાં ટુવાલ રાખવાની જગ્યા શોધવી અપડે. સેલના સથવારે ફ્રીઝ એટલું  ભરાય કે દૂધ મુકવાની જગ્યા જ ન હોય ..

           એક બિલ્ડરે પોતાની સ્કીમમાં રસોડાં કરતાં સ્ટોર રૂમ મોટો રાખેલો.મેં પૂછ્યું,' આમ કેમ ?' કહે ' લોકોના મનમાં સેલના ભૂત એટલા સવાર થયેલાં છે કે ઢગલાબંધ ઓવરસ્ટોક અને  બિનજરૂરી ખરીદી એટલી વધી છે કે  જોવા આવવા ગ્રાહકને સ્ટોરરૂમ  નાના લાગે ને કાં તો મકાન ખરીદ્યા પછી નાના સ્ટોર રૂમ માટે કાયમ અમને વગોવ્યા કરે .એના કરતાં અગમચેતી સારી. આમેય  ગ્રાહકને લલચાવવા માટે એક વાક્ય ' માત્ર અમારી જ સ્કીમમાં વિશાળ સ્ટોર રૂમ'  લખી દેવાય.

           ઓનલાઇન વેપાર વધારવા કંપનીઓ  ડિસ્કાઉન્ટની ઓફર મૂકે.તકલીફ ત્યારે થાય જયારે ઘરમાં શાકભાજી વધારે આવે ત્યારે. જમતી વખતે એવું સાંભળવા મળે કે ' તમને  ભીંડાનું શાક વધારે ભાવે છે એટલે આજે ડબલ બનાવ્યું છે.'  થોડા દિવસ પહેલાં  કેળા ઓનલાઇન મંગાવેલા.'એક બંચ ,સાથે એક ફ્રી 'ની લાલચમાં પેમેન્ટ વિગતમાં ડિલિવરી ચાર્જ જોવાનો ભુલાઈ ગયો.ચાર કેળા 99 રૂપિયામાં પડ્યા.બજારમાં છ કેળા 30 રૂપિયામાં મળે છે !     

            મોટાભાગની સેલવાળા સ્થેળ -મોલ કે દુકાન પર બંધ આંખોએ વંચાય એમ લખ્યું હોય,' વેચેલો માલ પાછો નહિ લેવાય.' એકવાર  20 % ડીકાઉન્ટની લાલચે પેકીંગવાળું ખજૂર ઘેર  આવીને ખોલ્યું તો જીવાત .બીજા દિવસથી કીડીયારાંમાં લોટને બદલે ખજૂર શરુ કર્યું.

          એક જ ભાવ ' લખેલા બોર્ડવાળી દુકાનમાં ભીડ ચોક્કસ ઓછી હોય પણ છેતરવાનો ભય પ્રમાણમાં ઓછો હોય..એ હકીકત છે .પણ ટોળાશાહીના આ દેશમાં કેટલાને સમજાવવા જવા ?

            આમ તો સેલના રોગ એ કોઈ ક્ષેત્ર છોડ્યું નથી.દાંતના ડોકટર પણ દાંત પાડવા માટે 'એક સાથે એક ફ્રી 'ની સ્કીમ આવે તો નવાઈ ન પામતા.આમેય લેબોરેટરી ટેસ્ટ  વગેરેમાં તો ક્યારનાય ડિસ્કાઉન્ટ આવી  ગયા છે.પછી પરિણામની ગુણવતાનું જોખમ તો આપણે જ ઉઠાવવાનું છે ને ?

          આખો લેખ વાંચવા બદલ આભાર .વિશેષ ઓફર--આવા  હળવી શૈલી ના અન્ય લેખ ખાસ આપના માટે જ ,મારા બ્લોગ પર !

Tuesday, June 24, 2025

જાતિ આધારિત જન ગણના { હલાવી શૈલી નો લેખ }

 


જાતિ આધારિત જન ગણના  { હલાવી શૈલી નો લેખ }         દિનેશ લ. માંકડ

            વાંચતા પહેલાં નક્કી કરી લો કે કોઈએ વ્યક્તિગત કે સામાજિક રીતે બંધ બેસતી પાઘડી કોઈ નહિ પહેરે કારણકે હવે વરઘોડા સિવાય વ્યવહારમાં પાઘડી  પહેરાતી  નથી. તે ય ભાડે લીધેલી કારણકે ભાગ્યેજ કોઈકે ના ઘામાં હશે. .

          એક  સત્યઘટના યાદ આવે છે.એક દાદીમા પોતાના પૌત્ર નું શાળામાં પહેલાં ધોરણમાં નામ લખાવવા આવ્યાં .પ્રવેશ આવેદનપત્ર ભરવાનું શરુ થયું.નામ પછી જાતિ લખવાનું આવ્યું.દાદીમાએ આચાર્યને પૂછ્યું ,' હું લોહાણા છું પણ મેં બ્રાહ્મણમાં લગ્ન કરેલા અને મારા દીકરાએ જૈનમાં લગ્ન કર્યા છે.બોલો કઈ જાતિ લખું ? આચાર્ય હજી મૌન છે.

           જાતિ આધારિત જન ગણનાની વાતો થાય છે .કદાચ દેશ માટે , રાજકીય પક્ષો માટે  હિતકારક હશે પણ સામાજિક ક્ષેત્ર માટે અવનવા પ્રશ્નો ઉભાકરશે.અને એમાંય નવી પેઢીમાં બદલાતા વિચાર પ્રવાહો તો અનેક અનેક સમસ્યાઓ સર્જે છે.એક ચુસ્ત બ્રાહ્મણ પિતા પાસે પુત્રએ પોતાની પટેલ કન્યાની પસંદગીની વાત લાવી લગ્ન ની અનુમતિ માગી.પિતાએ ' આપણે બ્રાહ્મણ છીએ .' -કહી અસહમતી દર્શાવી  ચાલાક પુત્રએ બ્રાહ્મણના ઉત્તમ ગુંણ ,પોતાની પસંદગી ની કન્યા માં છે એવું તાર્કિક રીતે પુરવાર કર્યું.પિતાએ સહમતી આપવી પડી.

         સંતાનો બહાર ભણવા જાય.થોડી આઝાદી  અને થોડી નિકટતા વધે એટલે કોઈપણ રાજ્યના પાત્ર પસંદ થાય .હવે આમાં જતી ક્યાં પૂછવા જવી ? બિહાર અને ઉત્તરપ્રદેશમાં સખા -ડખા  જોઈને  કોઈ  માને  કે વિશ્વ વંદ્યં જગદગુરુ  શ્રી કૃષ્ણ યદુવંશી હતા?

          એક સરખી અટક ઘણી જાતિમાં આવે છે .મહેતા અટક એટલી બધી જાતિમાં છે કે હવે પછીની પેઢી માબાપને પોતાની જ્ઞાતિ પૂછશે ! પરમાર,સોલંકી ,ચૌહાણ વૈષ્ણવ ઝાલા,મારુ,ચાવડા ,મિસ્ત્રી જેવી અનેક અટકવાળા પરિવારો માટે બિચારા શિક્ષકોએ પૂછપરછ માટે સરખા ઉરાંતવું પડશે.

           નાગર જ્ઞાતિના એક આચાર્ય અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિયુક્ત થયા.પહેલે દિવસે શિક્ષક હાજરીપત્રકમાં દેસાઈ અટકવાળા ત્રણ નામ જોયાં ને ખુબ ખુશ થયા. બોલાવીને કહ્યું,' જય હાટકેશ ' ઉત્તર મળ્યો ,' જય ગોગા મહારાજ ' આચાર્ય સમજી ગયા. વિદ્યાર્થી હાજરીપત્રક હાથમાં લીધાં .પટ્ટણી ,રાણા અટકવાળા સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ..ફરી આચાર્ય ચમક્યા.તપાસ કરી તો ખબર પડી કે અહીં  દેવીપૂજક અને વાલ્મિક સમાજ વધારે છે.એકવાર કોઈએ ગુજરાતના સિદ્ધહસ્ત લેખક શ્રી ચંદ્રકાન્ત બક્ષીને  'જય હાટકેશ ' સંબોધીને પત્ર લખ્યો.સ્પષ્ટ વક્તા બક્ષી સાહેબે મધુર શબ્દોમાં ઉત્તર આપ્યો.'અકસ્માતે હું જૈન છું.'

           દરેક જ્ઞાતિ પાસે તેના ઉચ્ચ ગુણો છે.અને એટલે જ જ્ઞાતિ લગ્નોને અગ્રતા અપાય અને દરેક જ્ઞાતિની પોતાની ગરિમા અને ગુણવત્તા જળવાય અને આગળ વધે. એટલું જ નહિ પણ ભારતીય સંસ્કૃતિમાં તો દરેક જ્ઞાતિને તેના પૂર્વજ ઋષિનું ગોત્ર પણ છે.એટલું જ નહિ પણ શાસ્ત્ર અને જનીન વિજ્ઞાન અનુસાર આવતીકાલની પેઢી માટે ચોક્કસ પ્રકારના નિયમો અનુસાર જ પાત્ર પસંદગી થાય. અને સમાજને ઉત્તમ મનુષ્યો પ્રાપ્ત થાય .પણ આજકાલ આંતરજ્ઞાતિય લગ્નો વધતાં જાય છે. એટલે આવી બધી વાત પોથીના રીંગણાં ગણાય છે .પણ સાચી છતાં વણકહેવાતી અનેક  સમસ્યાઓ નો પાર નથી.

          ગયા અઠવાડિયે એક લગ્નનું રીશેપ્શ્ર્ન હતું.જોડું આંટાજ્ઞાતિય અને ડિજિટલ કંકોત્રીને લીધે ધાર્યા કરતાં  ત્રણગણા જમવામાં આવી ગયા.કારણકે કોઈ કોઈને ઓળખતું નહોતું એટલે હસ્તે મોઢે યજમાન આગ્રહ કર્યા કરે! પાડોશમાં ધોળકિયા રહેવા આવ્યા તો નાગરબધુંએ ઓળખાણ કાઢવા પ્રયત્ન કર્યો કહે ,હું તો સોની છું.' એજ નાગર બંધુ સાંજે ' નાગર ચવાણા હાઉસ ' માં ચવાણું લેવા ગયા ને પરસેવે નીતરતા ને ધુમ્રપાન કરતા માલિકને જોઈને પૂછ્યા વગર જ નક્કી કરી લીધું કે આ આપણો નાગર નહિ જ હોય.

           ઘણી વખત સરકાર,  પોતે સોંપેલી કામગીરીમાં શ્રેષ્ઠ પ્રદાન કરનારને વિશિષ્ટ રીતે સન્માનિત કરતી હોય છે.જનગણના નું કાર્ય સોંપાયેલ એક નિષ્ઠાવાળા શિક્ષક મિત્રએ વધુ સારું કામ કરવા જાતિઓ શોધવા ગુગલ સર્ચ કર્યું તો માંકડ ,હાથી ,ઘોડા વાઘ જેવી અટકો મળી તો ભાઈ જંગલમાં જનગણના કરવા પહોંચી ગયા.પછી કોઈએ સમજાવ્યા કે આ તો નાગર જ્ઞાતિની અટકો છે..આખરે એમણે બ્રહ્મક્ષત્રિય અટક મચ્છરની જનગણના વખતે ઘામાં વસતા માત્ર  માણસોની જ ગણતરી કરી. 

         જનગણનામાં શિક્ષકમિત્રોની ઉત્તમ સેવા લેવાય છે.કારણકે એમની ચીવટ જગજાહેર છે. અને સોંપાયેલા કાર્યને સંતોષ અને ચોકસાઈ પૂર્વક કરવું એટલું જ આવશ્યક પણ છે.છતાં જો જો જાતિ પૂછવા જતાં બિચારા માર ન ખાય તો સારું.

* અન્ય લેખો વાંચવા તો મારા બ્લોગ પર જવું પડે, ભાઈ

Friday, June 13, 2025

જોઈએ છે કરકસર વાળી કન્યા

 




                                        

                                          

                              જોઈએ છે કરકસર  વાળી કન્યા                        દિનેશ લ. માંકડ { 9427960979 }

             ' જોઈએ છે કરકસરવાળી કન્યા, - ઓછા રૂપિયે ઘર ,પરિવારને  સંભાળી શકે તેની કરકસરવાળી કન્યા જોઈએ છે.’-  ભોગીલાલ ભાઈ દીકરા માટે માટે ટચુકડી જાહેરખબર આપી આવ્યા.દીકરો બટુક એન્જીનીયર થયો.તેને પાંચ વરસ થયાં.પણ નોકરીનું ઠેકાણું પડ્યું નહોતું. ઓછા ટકા આવ્યા હતા  એટલે કોલેજે ગોઠવેલ પ્લેસમેન્ટમાં તો ઠેકાણું પડ્યું નહિ.નાની કંપની કે પેઢી સાવ ઓછા પગારમાં આઠ કલાક કામની વાત કરે એટલે ભાઈસાહેબ હા પાડ્યા વગર પાછા આવે.

            આમાં વાંક કોઈનો નહિ .બટુક પંદરથી વધુ સંસ્થામાં વોટ્સએપ એડમીનની સેવા આપે.એટલે મોટાભાગનો સમય એમાં જાય. બે ચાર જન્મ મરણનોંધ  અને  વીસ પચીસ  જન્મ લગ્નની શુભેચ્છા આપવામાં અડધી સવાર વપરાઈ જાય.પાછા ખુબ જવાબદાર એડમીન એટલે ખાતરી ચોકસાઈ તો રાખવી જ પડે. માંડ. નહાવા ધોવાનું પતાવે ત્યાં તો બાબુનો ફોન આવે ,' બટુકભાઈ ,બધા આવી ગયા છે .તમારો સ્પેશિયલ માવો પણ ભેગો બનાવી દઉં ?  ભેગા ભેગા કેટલા બનાવવા તે પણ ફોનમાં જ કહી  દો પછી તમને આખા દિવસની નિરાંત.'

           પિતા ભોગીભાઈએ વિચાર કર્યો કે નોકરી વહેલી કે મોડી ને ઓછા વત્તા પગારવાળી મળી તો જ જશે .બટુકની ઉમરપણ વધતી જાય છે એટલે  નોકરી ભેગી છોકરીની તપાસ પણ કરતા રહીએ.એમાંય આવા રત્ન માટે વાર તો લાગવાની છે.અગમચેતીમાં જાહેરાતમાં ' કરકસરવાળી'  જ લખ્યુ. બીજે દિવસે છાપું આવ્યું ને  પોતે આપેલી જાહેરાત વાંચીને મનમાં ને મનમાં આશાના એવરેસ્ટ ચડવા  માંડ્યા .

            ઓચિંતાની એમની નજર બાજુમાં આવેલી જાહેરાત પર ગઈ.' 'સ્પધાત્મક પરીક્ષા આપી, સીધા જ કલેક્ટર બનો.' બમ પાડી ,બટુક અહીં આવ તો .' -તેમણે બટુકને  સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત  બતાવી. .બટુકે તરત ઉત્તર વાળ્યો.  ' કઈ વળે નહિ આવી પરીક્ષાથી..મનુભાઈનો મોન્ટુ ચાર  વખતથી  ચૌદ પરીક્ષા આપી ચુક્યો.કઈ ન વળ્યું .' ભોગીભાઈ એ ઉત્તર વાળ્યો,'પણ શરદભાઈનો સંકેત, આવી પરીક્ષા આપીને નાની ઉંમરે બેન્કનો ઓફિસર બની ગયો.' બટુકે બચાવની ઢાલ વાપરી,' એ તો રોજેરોજ દસ પંદર કલાક રૂમમાં ભરાઈને બેસવું .ટીવી વોટ્સએપ કે મેચ વગર જીવવું એના કરતા બેકાર રહેવું સારું.'  ભોગીભાઈ તો તેની વિચારસરણી જોઈને ડઘાઈ જ ગયા..

             પાછા  છાપાંમાં મોઢૂં નાખીને કશુંક વાંચવા લાગ્યા.એવામાં બટુક ફરીને પાછો રૂમમાં દાખલ થયો.' એક વાત તમને કહેવાની રહી ગઈ.હું હવે એમ.બી.એ .કરવા માંગુ છું.' ભોગીભાઈ ચોંક્યા,' અરે બેટા સાડા ચાર વર્ષ ઇજનેરી ભણવામાં ને પછી બીજા ત્રણ વર્ષ નોકરી શોધવામાં ગયા.હવે બીજાં ત્રણ વર્ષ ? અને સ્વનિર્ભર કોલેજની ફી પણ કેટલી વધારે હોય છે ?'- બટુક  પાસે એનો તાર્કિક જવાબ તૈયાર હતો,અત્યારે દસ હજાર નોકરી કરવી એના કરતાં બીજા  માત્ર ત્રણ જ વર્ષ ભણીને મોટું પેકેજ લેવું શું ખોટું?  મારો મિત્ર કપિલ એમ.બી.એ. થયોને વર્ષે પાંચ લાખ નું પેકેજ મેળવે છે .'- ભોગીભાઈ પાસે ઉત્તર હતો જ ,કે  'ત્રણ વર્ષે બીજા લાખો એમ.બી.એ ઉમેરાઈ ગયા હશે એટલે એ વખતે કંપનીઓને તો ઓછા વેતનની મોટી ડીગ્રીવાળા મળી રહેશે.અને આ ત્રણ વર્ષ આવકને બદલે ખર્ચના જશે તેનું નુકસાન કેટલું ?-' પણ ભોગીભાઈએ પ્રગટ ઉત્ત્તર  આપવાને બદલે વાતને વળાંક આપ્યો,' અમને તો એમ કે તું ક્યાંક ગોઠવાય તો તારું સારું ઠેકાણું શોધીએ, પણ ઠીક છે. પણ જેવી  તારી મરજી.'-

           . અને મનમાં મનમાં સ્વગત બબડ્યા ,' આમેય આજે કરકસર વાળી કન્યા શોધવામાં ત્રણેક વર્ષ તો લાગવાના જ છે. કારણકે.મોટાભાગની કન્યાઓ જેટલો યુટ્યુબમાં વાનગી જોવામાં વિતાવે છે એના કરતાં રસોડાંમાં ઓછો સમય વિતાવે છે.અધૂરામાં પૂરું ઝોમેટો અને  સ્વિગી સેવાઓએ તો તેમના હાડકાં જ  હરામના કરી નાખ્યા છે.'. બબડતાં બબડતાં પેપરના પ્રોપર્ટીના પાના પર તેમનું ધ્યાન ગયું. મકાનની નવી સ્કીમમાં લખ્યું હતું,' માત્ર રૂપિયા 40 લાખમાં 2 BH .' એમને એમ કે છાપવાની ભૂલ હશે અને  BHK માં Kitchen નો K  ભુલાઈ  હશે પણ જાહેરાતમાં આગળ લખ્યું હતું કે રસોડા અને ચોકડીને  બદલે બે બાળકની.’

           એમેઝોન અને ફ્લિપકાર્ટ વગર તો કન્યાઓને જીવન અધૂરું લાગે.ડિલિવરી ચાર્જ બચાવવા વર્ષ આખા ની ટૂથપેસ્ટ  સાથે મંગાવે.ઘરમાં સ્ટોરરૂમ નાનો પડે..વળી ડિસ્કાઉન્ટની લાહ્યમા એટલી બધી ફ્રીઝ આઈટમ આવે કે દૂધ રાખવાની જગ્યા પણ ન બચે.સાંજ પડે  એટલે મોલમાં ક્રેડિટકાર્ડ લઈને જાય.એક સાથે બે ફ્રી  સ્કીમ વાળી બધી વસ્તુઓ લઇ આવે .કન્યાઓએ  જ્યારથી સાંભળ્યું છે કે દક્ષીણ એક અભિનેત્રી પાસે એક હજાર સાડી હતી-તે દિવસથી પોતાનો કપડાંથી ઉભરાતો કબાટ નાનો પાડવા માંડ્યો છે.  સારું દેખાવું સહુને ગમે અને બહેનોનો જન્મસિદ્ધ હક્ક જ છે પણ 22 % GST વાળા કોસ્મેટિક્સનો ખર્ચ તો બે વર્ષના નહાવા ધોવાના સાબુ કરતાં પણ વધારે હોય.

             મોબાઈલ ની રિંગ વાગીને ભોગીભાઈ સફાળા વિચાર માંથી બહાર આવ્યા.' સારું થયું મેં કરકસર વાળી કન્યાની જાહેરાત આપી છે.લાગે છે કોઈ કન્યાના બાપ નો જ ફોન હશે.'

મને મળશે નોબેલ પારિતોષિક

 

                                               


  મને મળશે નોબેલ પારિતોષિક                        દિનેશ લ. માંકડ અમદાવાદ

           શીર્ષક વાંચીને ચોંકશો નહિ.બસ થોડી જ વાર છે. તૈયાર થઇ જાવ અભિનંદન આપવા અને સન્માન સમારંભમાં હાજર રહેવા. જો કે એમાં બોલાવવા માટે થોડી શરતો અને મર્યાદાઓ તો છે જ .આયોજકો હાજર રહેવા પહેલાં કેટલીક બાહેંધરી લેખિતમાં લેશે જેવી કે ,' તમે લેખકના દરેક લેખ અચૂક વાંચ્યા જ છે અને હજુ પણ તેઓ જ્યાં સુધી લખશે ત્યાં સુધી વાંચશો જ..અલબત્ત તમને તો એમાં વાંધો નહિ જ આવે .

          આવો થોડી પૂર્વ ભૂમિકા બતાવી દઉં. હકીકત એવી છે કે માધ્યમિક શાળામાં દસમા ધોરણમાં આવ્યો ત્યારે ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકમાં હાઈકુ આવ્યા. વિષય શિક્ષકે સમજાવીને પછી ઘેરથી પાંચ હાઈકુ બનાવી આપવાનું ગૃહકાર્ય આપ્યું.બધા જ વિદ્યાર્થીઓ લાવેલા.પણ સાહેબને મારાં હાઈકુ ગમ્યા અને વર્ગમાં વખાણ ચાલુ.અને એક જ રાતમાં હું કવિ બની બેઠો.

          જેમ લોભિયા પાસે ધુતારા ભૂખે ન મરે તેમ શ્રોતાઓ સામે કવિ મંચ ન મૂકે. જો કે મારા કિસ્સામાં એનાથી ઉલ્ટું બનતું.કારણકે કાર્યક્રમમાં હું મારી શેતરંજી ન લઇ જતો એટલે ખંડમાં  એક પણ માણસ ન રહે ત્યાં સુધી હું બોલતો રહેતો.આપણે ક્યાં શ્રોતા -વાચકની જરૂર હોય?  તુલસીદાસજી સ્વાંત સુખાય -માત્ર પોતાના નિજાનંદ માટે મહાન રામ ચરિત માનસ લખી ગયા. તેમના આદર્શને પકડીને લખવાનું ચાલુ.પછી તો મારા કવિતા -લેખો માટે વર્તમાનપત્રોમાં પડાપડી થવા માંડી. બે ચાર તંત્રીઓએ તો મારા ઘેર જ ધામા નાખ્યા.માં જેમ બાળકને મોં માં આંગળાં નાખી ખવરાવે એમ મને બળજબરી થી કલમ પકડાવે ને લેખ કે કવિતા લીધા વગર ન જ જાય .

         એક કવિ પાસે 'મઠારવું ' શબ્દ સાંભળ્યો.પછી તો એક એક કવિતા ને લેખ દસ દસ વખત મઠારી ને મનમાં ને મનમાં મરક્યા કરતો.સામયિકોમાં કૃતિઓ મોકલવાનું શરુ કર્યું.તો મારી ટપાલો વધી એટલે પોસ્ટમાસ્તરે ,સ્ટાફ વધારવા તેના મોટા સાહેબને માંગણી પત્ર લખ્યો.તેમાં બિડાણ મારી દરરોજની ટપાલના આંકડા મુક્યા .જો કે તેની સ્ટાફ વધારાની માંગણી મંજુર ન થઇ ,તેના કારણમાં જણાવાયું કે  ' તમારી શાખામાં રજીસ્ટર વગર ની સાદી ટપાલોમા સરકારની આવક નથી તેથી વધારાનો સ્ટાફ ફાળવી ન શકાય.’  .બીજા દિવસ થી પોસ્ટમાસ્તર દિવેલીયા મોથી મારી ટપાલ લેતા થયા.

          એક દિવસ એક શુભેચ્છક રસ્તામાં મળી ગયા.'ક્યારે પુસ્તક બહાર પાડો છો?' - સાંભળીને મનમાં અત્તરના ફુવારા ઉડ્યા.કોઈ બીજી વ્યક્તિને મારા પુસ્તક પ્રકાશનનો વિચાર આવ્યો,એ કઈ નાની સુની વાત કહેવાય ? જાણીતા પ્રકાશકોને પત્ર લખવાના શરુ કર્યા.કેટલાકે બે નકલમાં હસ્તપ્રત મોકલવા કહ્યું તો કેટલાકે અમદાવાદ રાજકોટ ,મુંબઈ રૂબરૂ આવી જવા જણાવ્યું.જો કે મોટા ભાગના એ તો જવાબ નહોતા આપ્યા.

           અને એક દિવસ એક શુભ ઘડી આવી..મુંબઈના પ્રકાશનનો પત્ર આવ્યો,' અમે તમારું પુસ્તક પ્રકાશિત કરીશું. ફૂલની પાંખડી જેટલો પુરસ્કાર આપીશું..નકલ મોકલી આપો.' સુંદર અક્ષરે નકલ તૈયાર થઇ.આ વખતે પ્રથમ વખત  રજીસ્ટર એ.ડી .થી ટપાલ મોકલી.બીજા દિવસથી છપાયેલાં પુસ્તકની રાહ જોવાનું શરુ થયું. દિવસ ઉગે ને તીવ્રતા વધતી જાય. ધૂમકેતુના કોચમેન અલીડોસાની જેમ પોસ્ટ ઓફિસ બેસું તો ખરાબ લાગે .છેવટે ઘરની જે બારીમાંથી  શેરીના નાકે જોઈ શકાય ત્યાં સવાર સાંજ બેઠક જમાવી. દિવસો-મહિનાઓ વીત્યા.. જયારે  ટપાલીનો થેલો દૂરથી વધુ ભરેલો દેખાય ત્યારે મનમાં આશાવાદના ડુંગર ખડકાય. ને એ જયારે ઘર પાસેથી ખાલી હાથ  નીકળી જાય ત્યારે આ ડુંગરો ભરભર ભુક્કો થઇ જાય.

           આખરે એક દિવસ સૂર્યોદય રોજ કરતાં કૈક વધારે ચમકદાર લાગ્યો.ચોક્કસ જીવનમાં કૈક ચમત્કાર થવા ના  એંધાણ વર્તાવા લાગ્યા.દૂરથી ટપાલી દેખાયો.તે ખુબ ધીમો ચાલતો હતો.કારણકે આજે એનો થેલો ભારે હતો.ઘર પાસે આવીને ઉભો.મારા શરીરમાં ખુશીની લહેર પ્રસરી ગઈ.મારા નામ વાળું પારસલ તેણે મને આપ્યું.જાણે માં સરસ્વતી સાક્ષાત આવીને મને પુરસ્કૃત કરતાં હોય તેવો મનો અહોભાવ પ્રગટ થતો હતો. પારસલ ખોલ્યું .પુસ્તકનું શીર્ષક જોયીને ફુલાયો. નવજાત શિશુને જોઈને થાય તેવો આનંદ થયો. દિવસો ને મહિનાઓ સુધી વાગોળયા કર્યું ત્યાં યાદ આવ્યું કે આ તો પુસ્તકની નકલો આવી પણ ફૂલની પાંખડી ન આવી તેનું શું ?  વળી પ્રકાશકને પત્રો લખવાના ચાલુ.સાત આઠ  સ્મૃતિ નિવેદનો લખ્યા પછી એક દિવસ મની ઓર્ડર આવ્યો.અંકે રૂપિયા એકસો એક ! કાપલીમાં લખેલું કે  ' વિનામૂલ્યે મોકલેલ નર્કલોમાં છાપેલી કિંમત આ રકમમાં ઉમેરીને ,તમારો પુરસ્કાર ગણી લેશો.' આઘાત તો ઘણો લાગ્યો પણ પછી વિચાર્યું કે હાશ,વાપરેલ કાગળ અને ટપાલ ખર્ચ તો નીકળ્યા.

          છેવટે નવું પુસ્તક સ્વખર્ચે પ્રકાશિત કરવાનું નક્કી કર્યું.વિચાર આવ્યો કે વધુ નકલ છપાવીએ તો વેચવાના વાંધા ને ઓછી નકલ છપાવીએ તો પડતર વધુ એટલે પુસ્તકની છાપેલી કિંમત વધુ રાખીએ તો વેચાય ઓછી .ઘણા મહિના  ગડમથલમાં કાઢી નાખ્યા છેવટે એવરેસ્ટ આરોહણ જેવી હિમ્મત કરી નાખી. પહેલાં  પુસ્તકની  અડધી નકલો દસ  વર્ષે વેચાઈ ,બાકીની નકલો ઉંદર અને વાંદા ઓએ માળિયામાં બેસીને વાંચી અને ખાધી પણ! તો પણ ' નિશાન ચૂક માફ ,ન માફ નીચું નિશાન ' ના આદર્શ ને સામે રાખી લખ્યે જ રાખ્યું.છૂપાવ્યે જ રાખ્યું.બાળ સાહિત્ય,કાવ્ય ,નવલિકા ,નાટક,શિક્ષણ ,આધ્યાત્મિક કોઈ વિષયને મારા તરફથી અન્યાય ન જ થવો જોઈએ.. એક નવો વિચાર સ્ફૂર્યો ,'ચાલીસેક જેટલા વિદ્વાનોને નવા પ્રકાશિત પુસ્તક ની  નમુનાની નલક મૂકીને તેમના અભિપ્રાય મેળવી ને લોકો સમક્ષ મૂકી ને પુસ્તક વેચાણ કરવું..વિદ્વાનો વ્યસ્ત હશે કે શું પણ હજુ સુધી કોઈનાય અભિપ્રાય આવ્યા જ નથી.

            ગઈ અગિયારસના એકલો ફળાહાર કરી રાત્રે સૂતો ને એક સાત્ત્વિક સપનું આવ્યું.- જ્યોતીન્દ્રભાઈ દવે અને વિનોદભાઈ ભટ્ટ સાથે આવ્યા.ને કહે ,' અમારા ગયા પછી હમણાં હમણાં ગુજરાતના લોકોના ચહેરાઓ  નંખાઈ ગયેલા કેમ હોય છે ?  સાંભળ્યું છે કે હાસ્ય લેખકો ખુબ મોંઘા છે અને ઓછું લખે છે .જેને કારણે ગુજરાતના લેખકોનો ભારતમાં કે દુનિયામાં જરાય ડંકો વાગતો નથી.અને હા ,ખાસ સાંભળ ,આલ્ફર્ડ નોબેલ હમણાં અહીં સ્વર્ગમાં અમને મળ્યા હતા અને કહેતા હતા કે હવે હાસ્યનું નોબલ પારિતોષિક શરુ કરવા, તેમણે કમિટીના સભ્યોને સપનામાં જઈને કહી પણ દીધું છે.' આટલું કહીને મારા ખભે હાથ મૂકીને કહ્યું કે ,'  તમે કાયમ અમારા સાચા ચાહક અને વાચક છો. હજુ સુધી તમે અમને પૃથ્વી પર અને તમારા મનમાં જીવંત રાખ્યા છે તો પછી અમારી અંદરની ઈચ્છા છે કે તમે હાસ્ય લેખ લખતા જ રહો.એટલા લખો કે નોબલ પારિતોષિક એમણે અચૂક તમને જ આપવું પડે..અમારી આટલી અંતઃકરણની ઈચ્છાને ગંભીરતાથી લઈને ઉઠીને , કાલ થી શરુ કરો.અમે સતત વિચાર સ્વરૂપે તમારી રહીશું.' 

          સવાર પડી .સપનું પૂરું .તે દિવસની ઘડીને આજનો દિવસ .લખવાનું ચાલુ. ને ચાલુ.જ્યાં સુધી નોબેલ ન મળે ત્યાં સુધી..કોઈ વાંચે કે ન વાંચે .કોઈ  હસે કે ન હસે હું તો લખવાનો લખવાનો ને લખવાનો જ્યાં સુધી નોબેલ ન મળે ત્યાં સુધી. { અર્ધ સત્ય ઘટનાના આધારે }